Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શિયાળામાં વારંવાર શરદી કેમ થાય છે અને સારવાર શું કરવી?

શિયાળામાં વારંવાર શરદી કેમ થાય છે અને સારવાર શું કરવી?

શરદી સામાન્ય રીતે જાતે જ મટી જાય છે પરંતુ જો તે 2-3 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ચાલે તો ડૉક્ટરને બતાવવું.

શિયાળો આવે એટલે ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમને વારેવાર શરદી થઈ જાય છે.

શિયાળો આવે એટલે ગરમ પાણી પીવાની પણ સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને શરદીનો કોઠો હોય એવી વ્યક્તિ તો ઘણી સાવચેતી રાખતી હોય છે.

શરદી એ તમારા નાકમાં લાળ અને તમારા ગળામાં સાઇનસ અને કફથી થાય છે. તે સામાન્ય રીતે જાતે જ મટી જાય છે પરંતુ જો તે 2-3 અઠવાડિયાં કરતાં વધુ સમય સુધી ચાલે તો ડૉક્ટરને બતાવવું જોઈએ.

કેટલાક લોકો મોટે ભાગે શરદીની સારવાર ડૉક્ટરને બતાવ્યા વિના પણ કરતા હોય છે. તમને એકાદ અઠવાડિયામાં રાહત ન થાય તો ડૉક્ટરને બતાવવું જોઈએ.

સવાલ એ થાય કે શિયાળામાં વારંવાર શરદી કેમ થાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ.

અમદાવાદના જાણીતા ડૉક્ટર ઑફ મેડિસિન ડૉ. તુષાર કાપડિયા શરદી થવાનાં કારણો જણાવતા કહે છે, “શરદી થવાના બે પ્રમુખ કારણ છે, પ્રદૂષણ અને આપણી જીવનશૈલી. શિયાળામાં ડબલ સિઝન વધી જાય છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડે છે. આ કારણે શરદી થાય છે.”

“આપણા ખોરાકમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે એટલે શરદી વધારે થાય છે. અમદાવાદમાં રહેતા બાળકને દર બે-ત્રણ મહિને શરદી થાય છે.”

તેઓ ઉમેરે છે, “ખોરાક કે હવામાનની અસરને કારણે શરદીમાં શરૂઆતમાં સોજો આવે અને ત્યારે તેનું ધ્યાન ન રાખવામાં આવે તો હવામાં રહેલા બૅક્ટેરિયા અને વાઇરસથી ચેપ વધી જાય. અને તે ગળાથી આખા શરીરમાં ફેલાઈ શકે અને ન્યુમોનિયા જેવી બીમારી થઈ શકે. અત્યારે અમદાવાદમાં શરદી પછીની તુરંતની અસર અસ્થમાએ જોર પકડ્યું છે.”

ગ્રે લાઇન

શરદીનાં લક્ષણો

શરદીનાં લક્ષણો પુખ્ત વયના લોકોમાં અને બાળકોમાં એકસરખાં હોય છે

શરદીનાં લક્ષણો ધીમે ધીમે પ્રગટ થાય છે અને તેમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:

  • નાકમાં અવરોધ અથવા વહેતું નાક
  • છોલાયેલ ગળું
  • માથાનો દુખાવો
  • સ્નાયુમાં દુખાવો
  • ઉધરસ
  • છીંક આવવી
  • શરીરના તાપમાનમાં વધારો
  • તમારા કાન અને ચહેરા પર દબાણ
  • સ્વાદ અને ગંધ જતા રહેવા

શરદીનાં લક્ષણો પુખ્ત વયના લોકોમાં અને બાળકોમાં એકસરખાં હોય છે. કેટલીક વાર બાળકોમાં લક્ષણો લાંબા સમય સુધી રહે છે.

ગ્રે લાઇન

શિયાળા સાથે શરદીનો સંબંધ

શરદીને અને ઠંડીને બહું સંબંધ નથી

શરદીને અને ઠંડીને બહું સંબંધ નથી એમ ડૉ. તુષાર કાપડિયાનું કહેવું છે.

તેઓ આ વાતના સમર્થનમાં દલીલ કરતા કહે છે, હિમાચલ કે હિમાલયમાં ભલે શૂન્ય ડિગ્રી તાપમાન હોય ત્યાં શરદી બહુ નહીં થાય અને ભીડભાડ ઓછી હોય એટલે ચેપ નહીં ફેલાય. માત્ર ઠંડીને ગણતરીમાં લઈએ તો હિમાલયમાં રહેતા દર ત્રીજા માણસને શરદી થવી જોઈ.

બાળકોમાં વારંવાર શરદી થવાનું કારણ જણાવતા ડૉ. કાપડિયા કહે છે, “બાળકોમાં રોગપ્રતિકારક શક્તિની પ્રણાલી મોડી વિકસે છે એટલે બાળકો શરદી પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. બાકી હતું તે શાળાની પદ્ધતિએ પૂરું કર્યું છે. વહેલી સવારની શાળા અને એ.સી. કમરાઓ શરદી ફેલાવાનું માધ્યમ બન્યા છે. ખુલ્લા કમરામાં ક્રૉસ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ સાવ ઓછી રહે છે.

તબીબી ઉપચારની વાત કરતા ડૉ. કાપડિયા શરદી ન થાય તેવા એટલે કે પ્રિકોશનરી ઉપચાર પર ભાર મૂકતા પ્રદૂષણથી બચવાની અને માસ્ક પહેરવાની સલાહ આપે છે.

આના સમર્થનમાં દલીલ કરતા તેઓ કહે છે, “કોવિડ થયો ત્યારે શરદીના કેસ ઘટી ગયા હતા. જાપાનમાં દર ત્રીજી વ્યક્તિ માસ્ક પહેરીને ફરે છે.”

હવે શરદી થઈ જાય તો ઉપચારમાં શું કરવું? જવાબમાં ડૉ. કાપડિયા કહે છે, શરૂઆત શ્વસનતંત્રના ઉપરના ભાગથી થાય છે એટલે કે છાતીની ઉપરના ભાગમાં વાઇરસને સેટ ન થવા દેવા ગરમ પાણીના કોગળા કરવા.

તેઓ ઉમેરે છે, “વાઇરસ કે બૅક્ટેરિયાને સેટ થવા 12 કલાક જોઈએ એ પહેલાં એને બહાર કાઢી નાખો. નહિતર એ અનેકગણી માત્રામાં વધે. વાઇરસને ફેલાવા માટે ગળપણવાળી, આર્ટિફિશિયલ ફ્લેવરવાળી વસ્તુઓ લેવાનું બંધ કરો.”

“શરદી વાઇરલ બીમારી છે. એમાં સામાન્ય રીતે કોઈ દવા નથી. આગળના તબક્કે બીજી બીમારીમાં ઉપચાર આવે છે. શરદીનાં સામાન્ય લક્ષણો પહેલા 2-3 દિવસ દરમિયાન રહેવાનાં. નાકમાંથી પાણી સૂકવી નાખવા માટે દવા ન લઈ લેવી. શરદીને દબાવી દેવાનો મતલબ નથી. હા, દર્દીને દર બે-મિનિટે ખાંસી આવતી હોય તો ડૉક્ટરને બતાવીને કફ સિરપ લઈ શકાય.”

બીબીસી ગુજરાતી

શરદી અને ફ્લૂ વચ્ચેનો તફાવત

શરદીમાં ગળાના દુખાવાને શાંત કરવા માટે મીઠુંવાળા પાણીના કોગળા કરો.

બ્રિટિશ સરકારના આરોગ્ય વિભાગ, તમે તમારી જાતે શરદીની સારવાર કરી શકો છો. વધુ ઝડપથી શરદીમાં સાજા થવામાં મદદ માટે વધુ આરામ અને ઊંઘ જરૂરી છે.

ડિહાઇડ્રેશન ટાળવા માટે પુષ્કળ પાણી પીવું. ફળનો રસ પીવો.

ગળાના દુખાવાને શાંત કરવા માટે મીઠુંવાળા પાણીના કોગળા કરો

જો તમારું શરીર બહુ ગરમ હોય અથવા તમે તમારી સામાન્ય પ્રવૃત્તિઓ કરવા માટે પૂરતું સારું અનુભવતા ન હોવ તો ઘરે રહેવાનો પ્રયાસ કરો અને જ્યાં સુધી તમને સારું ન લાગે ત્યાં સુધી અન્ય લોકો સાથે સંપર્ક ટાળો.

શરીરની કળતરને દૂર કરવા માટે પેરાસિટામોલ અથવા આઇબુપ્રોફેન જેવા પેઇનકિલર્સ વડે દુખાવો કે તાવ ઓછો કરી શકાય છે.

જો નાક બંધ થઈ જાય તો ડીકોન્જેસ્ટન્ટ સ્પ્રે અથવા ગોળીઓ વડે રાહત મળી શકે.

બ્રિટિશ સરકારના આરોગ્ય વિભાગ પ્રમાણે, ડીકોન્જેસ્ટન્ટ 6 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને આપવી જોઈએ નહીં. તેમજ 6થી 12 વર્ષની વયનાં બાળકોએ તેને 5 દિવસથી વધુ સમય સુધી લેવી જોઈએ નહીં.

ઘણા લોકો શરદીની બીમારીમાં અનેક પ્રકારની ગોળી, સિરપ લઈ લે છે પરંતુ આરોગ્ય વિભાગ ચેતવણી આપે છે કે પેરાસિટામોલ અને આઇબુપ્રોફેનની ગોળી લેતા હોવ તો ઉધરસ અને શરદીની દવાઓનો ઉપયોગ ન કરવાની કાળજી રાખો.

ખાંસી અને શરદીની દવાઓમાં ઘણી વાર પેરાસિટામોલ અને આઇબુપ્રોફેન પણ હોય છે તેથી ભલામણ કરેલ માત્રા કરતાં વધુ લેવાનું ટાળો. કેટલાંક બાળકો, શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે પણ તે યોગ્ય નથી.

બ્રિટિશ સરકારના આરોગ્ય વિભાગ અનુસાર, સપ્લિમેન્ટ્સ (વિટામિન-સી, લસણ વગેરે) શરદી અટકાવે અથવા રિકવરી ઝડપી કરે એવા ઓછા પુરાવા છે.

બીબીસી ગુજરાતી

શરદીમાં કયા સંજોગોમાં ડૉક્ટરનો સંપર્ક કરવો

શરદીમાં આ પ્રમાણેની સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરી શકાય:

  • 3 અઠવાડિયાં પછી પણ લક્ષણોમાં સુધારો થતો ન હોય
  • લક્ષણો અચાનક વધી જાય
  • તાપમાન ખૂબ ઊંચું રહે અથવા શરીર ગરમ રહે અને ધ્રુજારીનો અનુભવ થાય
  • બાળકનાં લક્ષણો ચિંતા કરાવતા જણાય
  • તમને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા છાતીમાં દુખાવો થાય
  • ડાયાબિટીસ અથવા હૃદય, ફેફસાં અથવા કિડનીની બીમારી જેવી સ્થિતિ હોય
  • કીમોથૅરપી જેવી સારવાર લેવાના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય
બીબીસી ગુજરાતી

એન્ટીબાયોટિક્સ લેવી કે નહીં?

એન્ટીબાયોટિક્સ

નિષ્ણાત તબીબો શરદી માટે એન્ટીબાયોટિક્સની ભલામણ કરતા નથી, કારણ કે તે તમારાં લક્ષણોમાં રાહત આપતી નથી કે અથવા તમારી રિકવરીને ઝડપી બનાવતી નથી.

એન્ટીબાયોટિક્સ માત્ર બૅક્ટેરિયલ ચેપ સામે અસરકારક છે અને શરદી વાઇરસને કારણે થાય છે.

બીબીસી ગુજરાતી

શરદી ફેલાવાનું જોખમ ઘટાડવા માટે...

શરદી વાઇરસના કારણે થાય છે અને સરળતાથી અન્ય લોકોમાં ફેલાય છે.

તમારાં બધાં લક્ષણો દૂર ન થઈ જાય ત્યાં સુધી તમે ચેપી છો. આમાં સામાન્ય રીતે 1થી 2 અઠવાડિયા લાગે છે.

શરદી ઉધરસ અને છીંકથી ફેલાય છે અને તેના વાઇરસ હાથ અને સપાટી પર 24 કલાક સુધી જીવિત રહી શકે છે.

શરદી ફેલાવવાનું જોખમ ઘટાડવા માટે:

  • હાથને વારંવાર ગરમ પાણી અને સાબુથી ધોવા
  • ઉધરસ કે છીંક આવે ત્યારે ટિશ્યૂનો ઉપયોગ કરો
  • ટિશ્યૂને બને તેટલા ઝડપથી બદલી નાખો
બીબીસી ગુજરાતી

શરદીથી કેવી રીતે બચવું

શરદી થઈ હોય તો વ્યક્તિ તેનાં લક્ષણો શરૂ થાય તેના થોડા દિવસો પહેલાંથી લક્ષણો બંધ થાય ત્યાં સુધી તેને ફેલાવી શકે છે.

શરદીથી બચવાની શ્રેષ્ઠ રીતો છે:

  • ગરમ પાણી અને સાબુથી હાથ ધોવા
  • શરદી હોય તેવી વ્યક્તિ સાથે ટુવાલ અથવા કપ જેવી ઘરની વસ્તુઓ શેર ન કરવી
  • જો તમે વાઇરસના સંપર્કમાં આવ્યા હો તો તમારી આંખો અથવા નાકને સ્પર્શ કરવો નહીં, આ રીતે શરીરમાં ચેપ ફેલાઈ શકે છે
  • ફ્લૂની રસી ફલૂને રોકવામાં મદદ કરે છે પરંતુ શરદીને નહીં
રેડ લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

રેડ લાઇન
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X