60 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કરશે ઝીનત અમાન
મુંબઇ, 4 ફેબ્રુઆરી: વિતેલા જમાનાની અભિનેત્રી ઝીનત અમાન ફરીથી લગ્ન કરવા જઇ રહી છે. 60 વર્ષની ઉંમરે ઝીનત અમાને ફરીથી લગ્ન કરવાની વાતને માની છે પરંતુ કોની સાથે લગ્ન કરશે તે અંગે ખુલાસો કર્યો નથી. તેમને એટલું જરૂર કહ્યું છે કે તે જેની સાથે લગ્ન કરશે તે વ્યક્તિ ભારતનો હશે. ઝીનત અમાનને બે પુત્રો છે અજાન (26) અને જહાન (23) વર્ષનો છે. બંને પુત્રો પોતાની માતાના બીજા લગ્ન કરવાના નિર્ણયથી ખૂબ ઉત્સાહિત છે. ઝીનત અમાને જણાવ્યું હતું કે મારા લગ્નને લઇને બંને ખુશ છે.
ઝીનત અમાને કહ્યું હતું કે મજહર ખાનના અવસાન બાદ હું લગ્નના વિરોધમાં હતી. લગ્ન વિશે વિચારવું પણ મારા માટે ખરાબ સ્વપ્ન જેવું હતું પરંતુ ભગવાનની ઇચ્છા આગળ તમારા ઇરાદા ચાલતા નથી. તેમને કહ્યું હતું કે હું કોઇને મળી અને તે મારી જીંદગીનો મહત્વનો ભાગ બની ગયો. હું ખૂબ ખુશ છું અને વિચારું છું કે હું ફરીથી જવાન થઇ ગઇ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે 1998માં મજહર ખાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ઝીનત અમાનની સંજય ખાન સાથે રિલેશનશિપ રહી હતી. ઝીનત અમાને એશિયા કન્ટેસ્ટ જીત્યો હતો અને ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગલાં માંડ્યાં હતા. ઝીનત ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ થાય છે સુંદરતાની રક્ષા કરો.