રાંઝણા દ્વારા પ્રેમનો જાદુ પાથરવા માંગતા આનંદ એલ રાય
મુંબઈ, 9 મે : રાંઝણા ફિલ્મના દિગ્દર્શક આનંદ એલ રાયને ભરોસો છે કે દર્શકોને ફિલ્મની વાર્તા ગમશે. ફિલ્મનું નામ જ પોતાનામાં એક અમર પ્રણય-કથાની યાદ અપાવે છે.
આ અગાઉ તનુ વેડ્સ મનુ ફિલ્મ બનાવનાર આનંદનું માનવું છે કે હાલમાં ભાગદોડ ભરેલું જીવન છતાં પણ દરેકે પ્રેમ કરવો અને પામવો ગમે છે. ફિલ્મમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા ધનુષ તેમજ બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આનંદે જણાવ્યું - લોકો પોતાની જાતને આ ફિલ્મ સાથે સાંકળી શકશે અને વાર્તા પસંદ કરશે. લોકોનો પ્રેમ ઉપરનો વિશ્વાસ ખતમ નથી થયો, પણ લોકોએ એક-બીજા ઉપર વિશ્વાસ કરવાનું છોડી દીધું છે.
તનુ વેડ્સ મનુ પણ એક રોમાંસથી ભરપૂર પ્રણય-કથા હતી. તેમને પૂછવામાં આવ્યું કે તેમણે બીજી વાર પણ એક પ્રણય-કથા ધરાવતી ફિલ્મ બનાવવા અંગે જ કેમ વિચાર્યું, તો આનંદ એલ રાયે જણાવ્યું - આ અંગે મારે એક ફરિયાદ છે. આજની પેઢીને જુઓ, ત્રણ બ્લૅક કૉફી તથા એક કૅપેચીનો બાદ તેમનો સંબંધ ખતમ થઈ જાય છે. તેઓ કહે છે કે જીવન આમ જ ચાલે છે. મને આ વાત બહુ ખરાબ લાગે છે. એનો મતલબ છે કે આજકલ સંબંધોમાં ક્યાંક કોઈ ઉણપ છે.
આનંદ એલ રાયે આજની પેઢીને જોતાં જ જૂના જમાનાના પ્રેમ અને સંબંધોના ઊંડાણને પ્રેમ તેમજ રોમાંસથી ભરપૂર ફિલ્મ રાંઝણા દ્વારા સામે લાવવા અંગે વિચાર્યું. રાંઝણા ફિલ્મ 21મી જૂને રિલીઝ થવાની છે. બૉલીવુડ અભિનેતા અભય દેઓલ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.