બજાતે રહોની પ્રાણને શ્રદ્ધાંજલિ, મ્યુઝિક લૉન્ચ સ્થગિત
મુંબઈ, 13 જુલાઈ : પ્રાણનું નિધન થતાં બૉલીવુડ શોકગ્રસ્ત છે અને એટલે જ આજના દિવસના કેટલાંક કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યાં. તેવી જ એક ઇવેંટ યોજાવાની હતી બજાતે રહો ફિલ્મની, પરંતુ ફિલ્મની ટીમે પ્રાણના નિધનના પગલે ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ કાર્યક્રમ સ્થગિત કરી નાંખ્યું.
બજાતે રહો ફિલ્મના નિર્માતા કૃષિકા લુલ્લાએ એક નિવેદનમાં જણાવ્યું - પ્રાણ જેવા લીજેન્ડરી અભિનેતાના નિધનના દિવસે કોઈ પણ પ્રકારનો ઉત્સવ ઉજવવાના પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પ્રાણ ભારતીય સિનેમાના જાજરમાન અભિનેતા હતાં અને તેમના નિધનના પગલે તેમના સન્માનમાં અમે ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ કાર્યક્રમ સ્થગિત કર્યું છે. તેમણે જણાવ્યું - મારી ટીમ બૉલીવુડના દુઃખમાં સહભાગી છે.
નોંધનીય છે કે પ્રાણનું ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે નિધન થઈ ગયું. તેઓ 93 વર્ષના હતાં. તેમનું નિધન થતાં બજાતે રહો ફિલ્મનું લૉન્ચિંગ સ્થગિત કરવામાં આવ્યું. સુશાંત શાહ દિગ્દર્શિત બજાતે રહો ફિલ્મમાં વિનય પાઠક, ડૉલી અહલુવાલિયા તથા તુષાર કપૂર લીડ રોલમાં છે.