કસાબથી નફરત કરે છે રામ ગોપાલ વર્માનો કસાબ
મુંબઈ, 7 માર્ચ : ગત સપ્તાહે રિલીઝ થયેલી રામ ગોપાલ વર્માની ધ ઍટૅક્સ ઑફ 26/11 ફિલ્મ ભલે બિઝનેસની બાબતમાં નબળી રહી હોય, પરંતુ ક્રિટિક્સ તેમજ દર્શકોના મતે આ એક હૃદયસ્પર્શી ફિલ્મ છે. આ ફિલ્મમાં આતંકવાદી અજમલ કસાબનો રોલ કરનાર અભિનેતા સંજીવ જયસવાલને પડદાં ઉપર જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત છે, કારણ કે તેનો ચહેરો આબેહુબ આતંકવાદી અજમલ કસાબ સાથે મળતો આવે છે.
સંજીવ જયસવાલ એક થિયેટર કલાકાર છે, પરંતુ તેમને ફિલ્મનો રોલ કસાબના કારણે જ મળ્યો છે. સંજીવે જણાવ્યું - મેં પણ ફિલ્મ કરતાં પહેલા ક્યારેય પોતાની જાતને ધ્યાનથી નહોતો જયો કે હું ચહેરાની બાબતમાં કસાબ સાથે મળતો આવુ છું, પરંતુ જ્યારે રામૂએ મારી આ રોલ માટે પસંદગી કરી, ત્યારે મને ખાત્રી થઈ ગઈ.
રામ ગોપાલ વર્માએ ફિલ્મમાં કસાબનો રોલ કરનાર સંજીવ જયસવાલ સાથે મીડિયા સામે રજૂ થઈ વાતચીત કરી. આ વાતચીત દરમિયાન સંજીવે જણાવ્યું કે આ સંજોગોવશાત થયું, પરંતુ હું વ્યક્તિગત રીતે તેવા માણસથી નફરત કરુ છું કે જેણે મુંબઈમાં આતંક મચાવ્યો, નિર્દોષોને કચડી લોહીની હોળી રમી. સંજીવે જણાવ્યું કે રામ ગોપાલ વર્મા એક ખૂબ જ સારા દિગ્દર્શક છે કે જેમની સાથે કામ કરી મને ખૂબ સારૂ લાગ્યું, તો બીજી બાજું નાના પાટેકરના વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી. તેઓ બેમિસાલ છે. લોકો મને પડદા ઉપર જોઈ ગાળો ભાંડતા હતાં. એ વાતથી મને ખુશી થઈ. જોકે હું બતાવી દઉં કે હું આતંકવાદી કસાબ નહીં, પણ રામૂનો કસાબ છું.