ભારતમાં 18 ઓક્ટોબરે શો કરશે જસ્ટિન બીબર, ટિકિટોનુ વેચાણ શરુ
ભારતમાં જસ્ટિન બીબરના ચાહકો માટે સારા સમાચાર છે. જસ્ટિન બીબર ટૂંક સમયમાં ભારતમાં પરફોર્મ કરવા આવી રહ્યો છે.
વૉશિંગ્ટનઃ ભારતમાં જસ્ટિન બીબરના ચાહકો માટે સારા સમાચાર છે. જસ્ટિન બીબર ટૂંક સમયમાં ભારતમાં પરફોર્મ કરવા આવી રહ્યો છે. તાજેતરમાં જ જસ્ટિન બીબરે તેના ચહેરા પર આંશિક લકવાની ફરિયાદ કર્યા પછી ઉત્તર અમેરિકામાં ઘણા શો રદ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી એકવાર જસ્ટિન બીબરના શોનુ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં ભારત પણ શામેલ છે. જસ્ટિન બીબર 18 ઓક્ટોબરે ભારત આવી રહ્યો છે. તે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પોતાનો શો કરશે. તેના શોની ટિકિટોનુ વેચાણ શરૂ થઈ ગયુ છે. જેની કિંમત 4000 રૂપિયા રાખવામાં આવી છે.
અમેરિકન ગાયક અશરે કહ્યુ કે હવે જસ્ટિન બીબરની તબિયત સારી છે. એક કલાકાર તરીકે આપણે બધા સમજીએ છીએ કે કંઈક એવુ થઈ શકે છે જે આપણે સમજી શકતા નથી. અશરે કહ્યુ કે હું તાજેતરમાં બીબર સાથે વેકેશન પર ગયો હતો. અમે મજા કરી. મને લાગે છે કે તે અત્યારે જે પણ અનુભવી રહ્યો છે તેમાં સારી વાત એ છે કે તેના ચાહકો અને પરિવાર તેને સપોર્ટ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબરના ચહેરા પર પેરાલિસિસની સમસ્યા ગયા મહિને સામે આવી હતી. તેણે પોતે એક વીડિયો દ્વારા આ અંગેની માહિતી આપી હતી. ઇન્સ્ટાગ્રામ પરના એક વીડિયોમાં બીબરે કહ્યુ કે તમે જોઈ શકો છો કે એક આંખ બંધ અને ખુલી શકે છે પરંતુ બીજી આંખની પલક ઝપકી શકતી નથી. હું ચહેરાની એક બાજુથી સ્મિત કરી શકતો નથી. મારુ નાક પણ હલતુ નથી. તેથી તમે જોઈ શકો છો કે મારા ચહેરાની એક બાજુ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે. જસ્ટિન બીબરની પત્ની હેલી બીબરે કહ્યુ કે તે દરરોજ સારો થઈ રહ્યો છે. જો કે તે ખૂબ જ ડરામણુ હતુ, જ્યારે આ પ્રકારની સમસ્યા અચાનક આવે ત્યારે ગભરાવુ સ્વાભાવિક છે.