દૂધ-જલેબી ખાયેંગે, ખંડવામાં બસ જાયેંગે... પૂર્ણ ન કરી શક્યાં કિશોર
મુંબઈ, 14 ઑક્ટોબર : 13મી ઑક્ટોબર, 1987ના રોજ મહાન ગાયક કિશોર કુમારે ફાની દુનિયા છોડી દીધી હતી, પરંતુ તેઓ આજે પણ લોકોના દિલોમાં ધબકે છે. સિંગર, એક્ટર, ડાયરેક્ટર હોવા ઉપરાંત બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ એક બહુ સારા કવિ પણ હતાં. જે રીતે તેઓ કૉમિક રોલ કરવામાં માહેર હતા, તેવી જ રીતે તેઓ મજાની તુકબંધી કરવામાં પણ ઉસ્તાદ હતાં. 4થી ઑગસ્ટ, 1929ના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં જન્મેલા કિશોરે પાનના મહિમા ઉપર જોરદાર કવિતા લખી હતી કે જે તેમના મોટાભાગના પ્રશંસકોથી અજાણ છે.
કહે છે કે આ કવિતા તેમણે ખંડવા છોડી મુંબઈ આવતા પહેલા લખી હતી. દુર્લભ કવિતાઓની પંક્તિઓમાં કિશોરની ઝિંદાદિલી તેમજ ખેલંદા અંદાજની સ્પષ્ટ છાપ દેખાઈ આવે છે. તે કવિતા કંઈક આમ છે - ‘પાન સો પદારથ, સબ જહાન કો સુધારત, ગાયન કો બઢાવત, જામેં ચૂના ચૌકસાઈ હૈ. સુપારિન કે સાથ સાથ, મસાલે મિલે ભાંત ભાંત, જામેં કત્થે કી રત્તીભર થોડી સી લલાઈ હૈ. બૈઠે હૈં સભા માંહિ, બાત કરેં ભાંત ભાંત, થૂકન જાત બાર બાર, જાને કા બડાઈ હૈ. કહેં કવિ કિસોરદાસ ચતુરન કી ચતુરાઈ સાથ, પાનમાં તમાકુ કિસી મૂરખને ચલાઈ હૈ.'
પોતાની રીલ લાઇફ ઉપરાંત રીયલ લાઇફને લઈને ખૂબ જ ચર્ચિત રહેનાર કિશોર કુમાર ચાર વાર પરણ્યા હતાં. તેમના ચોથા પત્ની અભિનેત્રી લીના ચંદાવરકર છે. લીના કહે છે કે કિશોર કુમાર બહેતરીન વ્યક્તિ હતાં. તેમની ઉણપ તેઓ પોતાના જીવનની દરેક ક્ષણે અનુભવે છે. લીનાએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું કે આભાસ કુમાર ગાંગુલી ઉર્ફે કિશોર કુમાર માયાનગરીમાં વસી તો ગયા, પણ તેમનું મન છેલ્લા શ્વાસ સુધી ખંડવાની અંતરિયાળ પંથકીય સંસ્કૃતિમાં રમતુ રહ્યું. તેઓ કાયમ કહેતા હતાં - દૂધ જલેબી ખાયેંગે, ખંડવામાં બસ જાયેંગે, પણ અફસોસ અમે તેમની આ ઇચ્છા પૂર્ણ ન કરી શક્યાં.