મહિલાઓની સલામતી મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં ઐશ
મુંબઈ, 20 ફેબ્રુઆરી : બૉલીવુડ અભિનેત્રી અને ભૂતપૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય કંઈ પણ હોવા પહેલાં એક મહિલા છે અને તેથી જ તેઓ મહિલાઓ પર થતાં અત્યાચારો અંગે વિચારે છે. ઐશ્વર્યા રાયે જણાવ્યું કે તેમને મહિલા વિરુદ્ધ થતા ગુનાઓ અંગે ગુસ્સો આવે છે. તેમને ડર નથી લાગતો, પણ ગુનેગારો પ્રત્યે રોષ ઉભરાય છે કે તેઓ બિંદાસ્ત થઈ મહિલાઓ, છોકરીઓ અને બાળકીઓ ઉપર અત્યાચારો કરે છે.
ઐશે જણાવ્યું કે છેલ્લા કેટલાંક દિવસોમાં જે કંઈ પણ થયું છે તે ખૂબ દિલ હચમચાવનારું હતું. તેથી આ વિશે ગંભીરતા સાથે વિચારવાની જરૂર છે. ઐશે જણાવ્યું કે ગુનેગારો માટે સખતમાં સખત કાનૂન હોવો જોઇએ અને તેમને તરત સજા થવી જોઇએ કે જેથી તે જોઈ કોઈ પણ બીજી વાર આવા ગુના કરવાનો સાહસ ન કરી શકે.
ઐશ્વર્યા રાયે ઝિંદગી લાઇવ ઍવૉર્ડ્સ સમારંભમાં આ વાત કહી કે જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત પણ હાજર હતાં. ઉપરાંત આ કાર્યક્રમમાં ક્રિકેટર ગૌતમ ગંભીર પણ હાજર હતાં. કદાચ ઐશ્વર્યાની આવી વાતો જ તેમને લોકોથી અલગ તારવે છે. તેથી લોકો તેમને આજે પણ એટલો જ પ્રેમ અને સન્માન આપે છે, કારણ કે તેઓ ફિલ્મો ઉપરાંત પણ વિચારે છે.
આ અગાઉ પણ જ્યારે મુંબઈમાં બૉમ્બ ધડાકાઓ થયાં, ત્યારે ઐશે મુંબઈવાસીઓના દર્દને સમજી ફ્રાંસમાં મળનાર સન્માન લેવાનો ઇનકાર કર્યો હતો.