પુનર્વિચાર અરજી દાખલ કરવાની તૈયારીમાં સંજય દત્ત
મુંબઈ, 8 એપ્રિલ : પોતાની સજાની માફી માટે અભિનેતા સંજય દત્ત એક બાજુ મંદિરોના ચક્કર લગાવી રહ્યાં છે, તો બીજી બાજુ તેમણે પુનર્વિચાર અરજી દાખલ કરવાનું પણ વિચાર્યું છે. કાનૂન મુજબ અદાલતના ચુકાદા બાદ 30 દિવસની અંદર ચુકાદો બદલવા અંગે પુનર્વિચાર અરજી દાખલ કરવાની જોગવાઇ છે. તેથી સંજય દત્ત પુનર્વિચાર અરજી દાખલ કરવાની કોશિશમાં છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંજય દત્તને માફી અપાવવા માટે અનેક રાજકીય હસ્તીઓ તેમના ટેકામાં આવી છે, તો પ્રેસ કાઉંસિલના પ્રમુખ માર્કંડેય કાત્જૂએ પણ રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલને સંજય દત્તને માફી આપવા માટે પત્ર લખ્યાં છે.
દરમિયાન સંજય દત્તના વકીલે પણ સંજય તરફતી જણાવ્યું છે કે તેઓ કાનૂનનું સન્માન કરે છે અને કરતાં રહેશે. તેમના બે નાના-નાના બાળકો છે. તેથી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ સંજય દત્તને માફ કરી દેવા જોઇએ.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 1993ના મુંબઈ બૉમ્બ ધડાકાની સુનાવણી કરતાં 21મી માર્ચ, 2013ના રોજ આર્મ્સ એક્ટ હેઠળ પાંચ વરસની સજા સંભળાવી હતી. જોકે તેમને સાડા ત્રણ વરસ જ જેલમાં રહેવું પડશે. 18મી એપ્રિલે તેઓ સરેન્ડર કરવાનાં છે. આ અગાઉ તેઓ બાકી ફિલ્મોનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે.