'રાબતા' પર સાઉથ બ્લોકબસ્ટર 'મગધીરા'ની સ્ટોરી ચોરવાનો આરોપ
સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ 'મગધીરા'ના મેકર્સે 'રાબતા' વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, તેમનું માનવું છે કે તેમની ફિલ્મ 'મગધીરા' પરથી 'રાબતા'ની સ્ટોરી લેવામાં આવી છે.
સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સૅનનની ફિલ્મ 'રાબતા' જલ્દી જ રિલીઝ થનાર, બંન્ને સ્ટાર્સ પોતાની આગામી ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે. પરંતુ તેમની ફિલ્મ મુસીબતમાં ફસાઇ ગઇ છે. સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ 'મગધીરા'ના મેકર્સે 'રાબતા' વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, તેમનું માનવું છે કે તેમની ફિલ્મ 'મગધીરા' પરથી 'રાબતા'ની સ્ટોરી લેવામાં આવી છે.
કોપીરાઇટનું ઉલ્લંઘન
'રાબતા' અને 'મગધીરા' ફિલ્મોની સ્ટોરી વચ્ચે ખાસી સમાનતા હોવાનું જણાઇ રહ્યું છે. 'રાબતા' પુનર્જન્મ પર આધારિત વાર્તા છે અને 'મગધીરા'ની સ્ટોરી પણ કંઇક એવી જ હતી. ફિલ્મ સમીક્ષક રમેશ બાલા અનુસાર 'મગધીરા'ના મેકર્સ આને કોપીરાઇટનું ઉલ્લંઘન માની રહ્યાં છે.
1 જૂનના રોજ સુનવણી
'મગધીરા'ના પ્રોડ્યૂસર અલ્લુ અરવિંદનું કહેવું છે કે, 'રાબતા'એ તેમની ફિલ્મ 'મગધીરા'નો યૂનિક સ્ટોરી પ્લોટ ચોર્યો છે. તેઓ ઇચ્છે છે કે, કોર્ટ 'રાબતા'ની રિલીઝ અંગે આદેશ આપે. 'રાબતા' ફિલ્મ 9 જૂનના રોજ રિલીઝ થનાર છે અને હૈદ્રાબાદ કોર્ટ 1 જૂનના રોજ આની પર સુનાવણી કરશે. હવે ફિલ્મ રિલીઝ થશે કે કેમ એ તો 1 જૂનના રોજ ખબર પડશે.
આ અંગે વાત કરતાં કૃતિ સેનને જણાવ્યું કે, મેં 'મગધીરા' ફિલ્મ જોઇ છે અને મને ખૂબ પસંદ પણ પડી છે, પરંતું આ બે ફિલ્મો વચ્ચે કોઇ સમાનતા નથી. 'રાબતા' બિલકુલ અલગ સ્ટોરી છે. બંન્ને ફિલ્મોની સ્ટોરીમાં એક જ વસ્તુ કોમન છે અને તે છે પુનર્જન્મ.
ફિલ્મમેકર દિનેશ વિજન, જેઓ 'રાબતા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યાં છે, તેમનું પણ કહેવું છે કે, 'મગધીરા' સાઉથની સુપરહિટ બ્લોકબસ્ટર ફિલ્મ છે, પરંતુ મારી ફિલ્મ અને 'મગધીરા' વચ્ચે પુનર્જન્મ સિવાય કોઇ સમાનતા નથી.