અભિનેતા આયુષ્માન ખુરાનાના ઘરમાંથી મળી નોકરની લાશ
મુંબઈ, 4 માર્ચ : ગત વર્ષની હિટ ફિલ્મ વિકી ડૉનર દ્વારા લોકોના હૃદયમાં ઘર બનાવનાર અભિનેતા અને એંકર આયુષ્માન ખુરાનાના ઘરેથી એક મોટા અને માઠાં સમાચાર આવે છે. તેમના ગોરેગાંવ ખાતે આવેલ ઘરમાંથી તેમના નોકરનું કોહવાયેલી લાશ લટકેલી હાલતમાં મળી છે. પોલીસે તેમના નોકરની લાશ શનિવાર સાંજે મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આયુષ્માનના નોકરની લાશ આયુષ્માનના ઘરમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી છે. નોકરનું નામ શિવ પ્રસાદ હતું. તે આયુષ્માનના ઘરમાં છેલ્લા દસ વરસથી કામ કરતો હતો. શિવ પ્રસાદની ઉંમર લગભગ 26 વર્ષ જણાવાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આ આપઘાતનો કેસ લાગે છે.
આપને જણાવી દઇએ કે અભિનેતા આયુષ્માન ખુરાના અને તેમના પત્ની ગત 17મી ફેબ્રુઆરીથી મુંબઈથી બહાર છે. હાલ તો પોલીસે લાશ પર કબજો મેળવી પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે આયુષ્માન પોતાની ફિલ્મના શૂટિંગ માટે દિલ્હી ગયેલાં છે, જ્યારે તેમના પત્ની પોતાના માતાના ઘરે ચંડીગઢ ખાતે છે. ઘટનાની માહિતી આયુષ્માનને આપી દેવાઈ છે. સમાચાર છે કે આયુષ્માન અને તેમના પત્ની ટુંકમાં જ મુંબઈ પહોંચવાના છે.