પાકિસ્તાની ફિલ્મો-સિરિયલોમાં કામ કરવા ઇચ્છાતુર પરેશ રાવલ
પરેશ રાવલ અનુસાર આપણા શો ખૂબ કંટાળાજનક થઇ ગયા છે.તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પાકિસ્તાની સિરિયલો-ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
અભિનેતામાંથી રાજનેતા બનેલ પરેશ રાવલ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલાં જ પરેશ રાવલે ટ્વીટ કરી કહ્યું હતું કે, કાશ્મીરના પથ્થરબાજોની જગ્યાએ અરુંધતી રોયને સેનાની જીપ સાથે બાંધવા જોઇએ. જો કે, વિવાદ વધતાં તેમણે એ ટ્વીટ ડીલિટ કરી નાંખ્યું હતું.
તાજેતરની ખબરમાં તેમણે પાકિસ્તાની સિરિયલોમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી છે. પરેશ રાવલનું કહેવું છે કે, ફિલ્મો અને ક્રિકેટ આ બે દેશો વચ્ચેના અંતરને પૂરે છે. તેમના મતે ક્રિકેટર્સ અને કલાકારો લોકો પર બોમ્બ ફેંકવા નથી જતા. તેમણે આ અંગે આગળ કહ્યું કે, મને લાગે છે કે, આપણા શો કંટાળાજનક થતા જાય છે. પાકિસ્તાની શોમાં નવીનતા છે, 'હમસફર' સિરિયલ તેનું તાજુ ઉદાહરણ છે. મને તક મળે તો હું ચોક્ક્સ પાકિસ્તાની સિરિયલ અને ફિલ્મોમાં કામ કરીશ. ત્યાંની વાર્તા, લેખન, ભાષા અને અભિનય બધું જ શ્રેષ્ઠ છે.

પરેશ રાવલ જે પાકિસ્તાની સિરિયલનું ઉદાહરણ આપી રહ્યાં છે, તે પાકિસ્તાની સિરિયલ 'હમસફર' ખૂબ લોકપ્રિય થઇ હતી. સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવનાર ફવાદ ખાન અને માહિરા ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂક્યાં છે અને તેમને અહીં અનેક વિરોધ અને આલોચનનો સામનો પણ કરવો પડ્યો છે. ઉરી આતંકી હુમલા બાદ પાકિસ્તાની કલાકારોનો ખૂબ વિરોધ થયો હતો, એવામાં પરેશ રાવલના આ નિવેદનથી કોઇ નવો વિવાદ ન સર્જાય તો જ નવાઇ!












Click it and Unblock the Notifications
