કોલકાતાથી શરૂ થશે રહેમાનની સંગીત સફર ‘રહેમાનિશ્ક’
મુંબઈ, 30 સપ્ટેમ્બર : આવતીકાલે એટલે કે મંગળવારનો દિવસ કોલકાતા માટે ખાસ રહેશે. સંગીતકાર એ આર રહેમાન પોતાના સંગીત પ્રવાસ રહેમાનિશ્કનો પ્રારંભ 1લી ઑક્ટોબરના રોજ કોલકાતામાં કરી રહ્યાં છે.
કળા પ્રૌદ્યોગિકીના અનોખા સંગીત અનુભવ તરીકે જોવાતું આ ભવ્ય સંગીત કાર્યક્રમ સૉલ્ટ લેક સ્ટેડિયમ ખાતે યોજાશે. કાર્યક્રમમાં રહેમાન દ્વારા જોધા અકબર, સ્લમડૉગ મિલેનિયર, લગાન, જાને તૂ યા જાને ના, દિલ સે, રંગ દે બસંતી, રૉકસ્ટાર, બૉમ્બે તથા જબ તક હૈ જાન જેવી ફિલ્મોમાં અપાયેલ સંગીતનો શ્રોતાઓ નવા અંદાજમાં સાક્ષાત્કાર કરશે. ત્રણ કલાકના આ કાર્યક્રમમાં જાવેદ અલી, સુખવિંદર સિંહ તથા નીતિ મોહન જેવા 20 વ્યાવસાયિક ગાયકો પણ રહેમાન સાથે મંચ શૅર કરશે.
ઉપરાંત આ કાર્યક્રમમાં 11 સંગીતકારો તથા ડાન્સર્સ પણ પોતાના હુન્નર સાથે ગાયકોની પ્રસ્તુતિની શોભા વધારશે. રહેમાને જણાવ્યું - મેં વિચાર્યું કે પોતાના ફૅન્સને મળવાની અને રૂબરૂ થવાની આ એક સારી તક હશે. પોતાના ફૅન્સ સમક્ષ લાઇવ પરફૉર્મન્સ આપવા કરતાં સારો બીજો કોઈ અનુભવ ન હોઈ શકે. એક માસ સુધી ચાલનાર આ સંગીત પ્રવાસ કોલકાતા ખાતેથી શરૂ થઈ વિશાખાપટ્ટનમ, જયપુર થઈ અમદાવાદ ખાતે સમ્પન્ન થશે.