કાકાની અંતિમ ઇચ્છા પર પાણી ફરી વળશે ?
મુંબઈ, 10 નવેમ્બર : રાજેશ ખન્નાના નિધનને માત્ર ચાર જ મહીના થયાં છે કે ફરી એક વાર તેમનું નામ વિવાદોમાં ઘેરાઈ ગયું છે. પહેલાં તો કાકાના નિધન બાદ તેમના લિવ ઇન પાર્ટનર અનીતા અડવાણી તેમની સમ્પત્તિ અંગે મોટો હોબાળો મચાવ્યો, પરંતુ બાદમાં બધુ ઠંડુ પડી ગયું, તો ફરી એક વાર અનીતાએ કાકાના મિલ્કતમાં પોતાનો ભાગ માંગવા માટે ખન્ના ફૅ્મિલીને કોર્ટમાં ઢસડી છે.
નોંધનીયે છે કે કાકાના બંગલા આશીર્વાદને લઈને પણ અનીતાએ ઘણી માંગો મુકી છે. જ્યારે સૌ જાણે છે કે કાકાની અંતિમ ઇચ્છા હતી કે તેમના બંગલાને એક મ્યુઝિયમમાં બદલી નાંખવામાં આવે. આ સાથે જ બંગલો કાકાએ પોતાની બંને પુત્રીઓના નામે કર્યો હતો અને જણાવ્યુ હતું કે તેમના મોત બાદ તેમની પુત્રીઓ જેમ ઇચ્છે તેમ બંગલા અંગે નિર્ણય કરી શકે છે. આ ઉપરાંત કાકાના નિધન બાદ મીડિયા સાથે વાતચીત કરતાં અનીતાએ પણ જણાવ્યુ હતું કે કાકાની અંતિમ ઇચ્છા એટલે કે આશીર્વાદને મ્યુઝિયમમાં બદલવાની ઇચ્છા જરૂર પૂર્ણ કરવામાં આવશે.
પરંતુ હવે અનીતા ઇચ્છે છે કે આશીર્વાદમાં રહેવાની તેમને મંજૂરી આપવામાં આવે. આ સાથે જ તેમણે માંગ કરી છે કે દર માસે તેમને 10 લાખ રુપિયા આપવામાં આવે. જો એવું ન થઈ શકે, તો તેમને એક સાથે 50 કરોડ રુપિયાની ચુકવણી કરવામાં આવે. આ સાથે જ આશીર્વાદમાં રહેવા માટે એક ઘર પણ આપવામાં આવે. આ તમામ માંગો પાછળ અનીતાએ દલીલ એવી મુકી છે કે 2003થી તેઓ રાજેશ ખન્ના સાથે જ તેમના બંગલામાં રહેતાં હતાં અને તેમની સારસંભાળ લેતા હતાં.
ઉપરાંત તેમણે ખન્ના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આરોપ લગાવતાં જણાવ્યું છે કે રાજેશના મૃત્યુ બાદ તેમને પરાણે ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં. તેમણે મુંબઈની અદાલતમાં કેસ દાખલ કર્યો છે અને બુધવારે જ ખન્ના પરિવારને પેપર્સ મોકલાવ્યાં છે. આ કેસની સુનાવણી 27મી નવેમ્બરે થશે.