અનીતાએ અક્ષય-ટ્વિંકલ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ
મુંબઈ, 9 નવેમ્બર : કહે છે ને કે જમીન-મિલ્કત વિવાદની મૂળ હોય છે કે જે જીવતા તો હેરાન કરે જ છે, મર્યા પછી પણ પીછો નથી છોડતી. કઈંક એવું જ થઈ રહ્યું છે ખન્ના પરિવાર સાથે. ફિલ્મ અભિનેતા અને બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાના મોત બાદ પણ તેમના ઘરે વિવાદ ચાલુ છે મિલ્કત મુદ્દે.
મળતી માહિતી પ્રમાણે રાજેશ ખન્ના સાથે બેહદ મહોબ્બત કરનાર અને લાંબા સમય સુધી તેમની સાથે લિવ ઇન રિલેશનમાં રહેનાર અનીતા અડવાણીએ રાજેશના દીકરી જમાઈ એટલે કે ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર વિરુદ્ધ ઘરેલુ હિંસા કાનૂન હેઠળ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.
અક્ષય-ટ્વિંકલ ઉપરાંત રાજેશનાં બીજા દીકરી-જમાઈ રિંકી તેમજ તેમના પતિ તથા રાજેશનાં પત્ની ડિમ્પલ ખન્ના એટલે કે ડિમ્પલ કાપડિયા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવાઈ છે, પરંતુ કેસ મિલ્કત અંગે નહિં, પણ ઘરેલુ હિંસા અંગેનો નોંધાયો છે.
અનીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ અને રાજેશ આત્મિક સંબંધથી બંધાયેલા હતાં. રાજેશની હૃદયપૂર્વકની ઇચ્છા હતી કે તેમના મોત બાદ અનીતા તેમના બંગલા આશીર્વાદમાં રહે, પરંતુ અક્ષય અને સમગ્ર ખન્ના પરિવારે તેમને ધક્કો મારી બહાર કાઢી નાંખ્યા. એટલું જ નહિં, વિરોધ કરતાં તે લોકોએ તેમની સાથે મારઝુડ અને દુર્વ્યવહાર પણ કર્યો.
અનીતાએ જણાવ્યું કે કાં તો ખન્ના પરિવાર તેમને 50 કરોડ રુપિયા આપી દે કાં તો પછી તેમને આશીર્વાદમાં રહેવા દે. અનીતાએ આશ્ચર્યજનક ખુલાસો કરતા જણાવ્યું છે કે સ્વર્ગીય રાજેશ ખન્ના પાસે 600 કરોડથી વધુની મિલ્કત છે કે જેની ઉપર તેમનો પણ એટલો જ હક છે કે જેટલો ખન્ના પરિવારનો. અનીતાએ અક્ષય સામે આરોપ મુક્યો કે અક્ષયે રાજેશની વિલમાં રાજેશના અંગૂઠાનો ખોટી રીતે નિશાન લગાવડાવી લીધો છે. રાજેશની હાલત સારી નહોતી. તેનો ફાયદો અક્ષયે ઉઠાવ્યો છે.