રાજેશ ખન્નાની ‘રિયાસત’ અંગે છેડાયો છે જંગ
મુંબઈ, 27 નવેમ્બર : રાજેશ ખન્ના બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર કહેવાય છે. ઓછી વયે સફળતા પામવી દરેકના વશની વાત નથી હોતી, પરંતુ રાજેશ ખન્નાના ભાગ્યમાં સફળ થવું લખેલુ હતું. જેના કારણે બૉલીવુડનો આ સુંદર સ્ટાર રાજેશ ખન્ના હિન્દી સિનેમાનો આઇકૉન બની ગયો. રોમાન્ટિક ફિલ્મો કરતાં-કરતાં રાજેશ ખન્નાએ રીયલ લાઇફમાં પણ રોમાંસનો વરસાદ કર્યો હતો. વર્ષો સુધી રાજેશ ખન્નાએ અંજૂ મહેન્દ્રૂ સાથે પ્રેમના પાઠ ભણ્યાં, તો ટીના મુનીમ સાથે પણ ઇશ્ક લડાવ્યો, પરંતુ લગ્ન પોતાના કરતા અડધા વયની છોકરી ડિમ્પલ કાપડિયા સાથે કર્યાં.
પરંતુ ફિલ્મી કૅનવાસે પ્રેમની નવી વ્યાખ્યા રચનાર રાજેશ ખન્નાની રીયલ લાઇફમાં પ્રેમની ઉણપ જોવામાં આવી કે જેને ભરવાનો પ્રયત્ન તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી કરતાં રહ્યાં. પત્ની ડિમ્પલથી જુદા થયા બાદ તેમના જીવનમાં અનીતા અડવાણી આવ્યાં. અનીતાએ દાવો કર્યો છે કે તેઓ અને રાજેશ છેલ્લા 33 વર્ષોથી લિવ ઇન રિલેશનમાં હતાં. રાજેશની વિદાય બાદ તેમની રિયાસત એટલે કે મિલ્કત પર તેઓ પોતાનો હક માંગે છે અને તેના માટે કાનુની સહારો પણ લઈ રહ્યાં છે.
એક બાજુ રીયલ લાઇફમાં રાજેશ ખન્નાની રિયાસતની લડાઈ ચર્ચામાં છે, તો બીજી બાજુ તેમની રીલ લાઇફ રિયાસત 28 ડિસેમ્બરે રિલીઝ થવા માટે તૈયાર છે. 28મી ડિસેમ્બરે રાજેશ ખન્નાની પુણ્યિતિથિ છે. રાજેશની આ છેલ્લી ફિલ્મ છે. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક અશોક ત્યાગીનું કહેવું છે કે કાકાની આ ફિલ્મ તેમના તરફથી રાજેશ ખન્નાને શ્રદ્ધાંજલિ છે. વિચિત્ર અને સંયોગની વાત એ છે કે ફિલ્મનું નામ પણ રિયાસત જ છે.
ફિલ્મમાં રાજેશ ખન્નાનું પાત્ર રામ ગોપાલ વર્માની ફિલ્મ સરકાર રાજના અમિતાભ સાથે મળતું આવે છે. હવે જે રીતે સૌની નજરો કોર્ટના નિર્ણય પર ટકેલી છે અને સૌ જાણવા ઉત્સુક છે કે રાજેશ ખન્નાનો આશીર્વાદ બંગલો અનીતાને મળે છે કે કેમ, તેવી રીતે અમિત ત્યાગી પણ વિચારી રહ્યાં છે કે પબ્લિકનો આશીર્વાદ રિસાયતને મળે છે કે કેમ?
સરવાળે એમ કહી શકાય કે બંને તરફથી રાજેશ ખન્નાની રિસાયત અંગે જંગ છેડાયેલો છે. નોંધનીય છે કે અનીતા અડવાણીએ ખન્ના પરિવાર સામે ઘરેલુ હિંસાનો આરોપ મુક્યો છે અને રાજેશના બંગલામાં ભાગીદારી માંગી છે. કેસ કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે. કોર્ટે સુનવણી કરતાં રાજેશ ખન્નાના જમાઈ અભિનેતા અક્ષય કુમાર સહિત તેમના સમગ્ર પરિવારને 4થી ડિસેમ્બરના રોજ અદાલતમાં હાજર રહેવા જણાવ્યું છે.