માત્ર 6 મહિનાની અંદર દુનિયાને અલવિદા કહી ગયા ફિલ્મ જગતના આ 11 સ્ટાર્સ
કેકે ઉપરાંત છેલ્લા 6 મહિનામાં ફિલ્મ જગત સાથે જોડાયેલા 11 મોટા સ્ટાર્સ આપણે છોડીને જઈ ચૂક્યા છે.
નવી દિલ્લીઃ સંગીત જગતમાંથી માત્ર 3 દિવસમાં જ બીજા દુઃખદ સમાચાર આવ્યા છે. રવિવારે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ મંગળવારે જાણીતા સિંગર કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કેકેનુ નિધન થઈ ગયુ. કેકે પોતાના એક લાઈવ શો માટે કોલકત્તા ગયા હતા જ્યાં શો દરમિયાન જ અચાનક તેમની તબિયત બગડી ગઈ. કેકેને તરત જ એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમણે દમ તોડી દીધો. જણાવવામાં આવી રહ્યુ છે કે કેકેનુ નિધન હાર્ટ એટેકના કારણે થયુ છે. કેકે ઉપરાંત છેલ્લા 6 મહિનામાં ફિલ્મ જગત સાથે જોડાયેલા 11 મોટા સ્ટાર્સ આપણે છોડીને જઈ ચૂક્યા છે.
રશીદ નાઝ - ફિલ્મ BABYના મૌલાના મોહમ્મદ રહેમાન
વર્ષ 2022માં ફિલ્મ જગતમાંથી પ્રથમ ખરાબ સમાચાર આવ્યા જ્યારે અક્ષય કુમારની ફિલ્મ બેબીમાં મૌલાના મોહમ્મદ રહેમાનની ભૂમિકા ભજવનાર અભિનેતા રાશિદ નાઝનુ 17 જાન્યુઆરીએ અવસાન થયુ. પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા રાશિદ નાઝે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી શોથી કરી હતી. રશીદ નાઝે ફિલ્મ બેબીમાં આતંકવાદી ગેંગસ્ટર મૌલાના મોહમ્મદ રહેમાનનુ પાત્ર ભજવીને છવાયા હતા.
અરુણ વર્મા
ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આ વર્ષે બીજો મોટો આંચકો લાગ્યો જ્યારે અભિનેતા, હાસ્ય કલાકાર અને કવિ અરુણ વર્માનું 20 જાન્યુઆરીએ અવસાન થયુ. બૉલિવૂડની 80થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અરુણ વર્માએ વર્ષ 1987માં અભિનેતા સની દેઓલની ફિલ્મ 'ડકૈત'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે ખલનાયક, પ્રેમ ગ્રંથ, ચલતે-ચલતે, ખાકી, મુઝસે શાદી કરોગી, જોલી એલએલબી, કિક, ફુકરે અને હીરોપંતી જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.
રમેશ દેવ
આ વર્ષે 2 ફેબ્રુઆરીએ પીઢ અભિનેતા રમેશ દેવે દુનિયાને અલવિદા કહી દીધી. રમેશ દેવે તેમની 6 દાયકા લાંબી બોલિવુડ કારકિર્દીમાં 475થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની યાદગાર ફિલ્મોમાં દસ લાખ, આનંદ, મેરે અપને, હલચલ, કસૌટી, ખુદ્દાર, લૈલા અને જોલી એલએલબીનો સમાવેશ થાય છે. 93 વર્ષીય રમેશ દેવનુ કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયુ હતુ.
લતા મંગેશકર
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્વર કોકિલા તરીકે જાણીતા પીઢ ગાયિકા લતા મંગેશકર આ વર્ષે 6 ફેબ્રુઆરીએ આપણને છોડીને ચાલ્યા ગયા. 7 દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, લતા મંગેશકરે લગભગ 36 ભાષાઓમાં 50 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા. લતા મંગેશકરના નિધનથી માત્ર બોલિવૂડ જ નહિ પરંતુ આખો દેશ શોકમાં છે.
પ્રવીણકુમાર સોબતી
લતા મંગેશકરના મૃત્યુના એક દિવસ પછી ફિલ્મ ઉદ્યોગને બીજો આંચકો લાગ્યો જ્યારે મહાભારતમાં ભીમનુ પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનુ 7 ફેબ્રુઆરીએ અવસાન થયુ. તેમના સમયના જાણીતા રમતવીર પ્રવીણ કુમારે પણ ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રવીણ કુમારે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ સહિત ચાર મેડલ જીત્યા હતા.
બપ્પી લહેરી
પોતાના સંગીત અને સુરીલા અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર પ્લેબેક સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર બપ્પી લાહિરીનું આ વર્ષે 15 ફેબ્રુઆરીએ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયુ હતુ. બપ્પી લાહિરી ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ફિલ્મી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો.
એમસી તોડફોડ
વર્ષ 2022માં, એક દુઃખદ સમાચાર આવ્યા જ્યારે રેપર અને અભિનેતા એમસી તોડફોડનુ 21 માર્ચે મુંબઈમાં માત્ર 24 વર્ષની વયે અવસાન થયુ. એમસી તોડફોડનુ સાચુ નામ ધર્મેશ પવાર હતુ. એમસી તોડ ફોડ ઝોયા અખ્તર દિગ્દર્શિત ગલી બોયનો એક ભાગ હતો, જેમાં અભિનેતા રણવીર સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અભિષેક ચેટર્જી
બંગાળી ફિલ્મોના જાણીતા અભિનેતા અભિષેક ચેટર્જીએ આ વર્ષે 24 માર્ચે આ દુનિયાને અલવિદા કહી દીધુ. તેમના પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર 57 વર્ષીય અભિષેક ચેટર્જી ઘણા સમયથી બીમાર હતા. જો કે તે સાજા થઈ ગયા હતા અને ટીવી શોના શૂટિંગ માટે બહાર ગયા હતા પરંતુ ત્યાં તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી.
મંજૂ સિંહ
80ના દાયકામાં અનેક ટીવી શો દ્વારા પોતાની ઓળખ બનાવનાર પીઢ અભિનેત્રી મંજુ સિંહનુ આ વર્ષે 14 એપ્રિલે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયુ હતુ. મંજુ સિંહ, જેને તેના ચાહકો પ્રેમથી 'દીદી' કહેતા, તેમણે સતત સાત વર્ષ સુધી દૂરદર્શન પર બાળકોના શો 'ખેલ ખિલોને'નુ એન્કરિંગ પણ કર્યુ. જો કે મંજુ સિંહને સૌથી વધુ ઓળખ હૃષિકેશ મુખર્જીની ફિલ્મ ગોલમાલથી મળી હતી. આ ફિલ્મમાં તેમણે અભિનેતા અમોલ પાલેકરની બહેન રત્નાની ભૂમિકા ભજવી હતી.
સલીમ ઘોષ
ફિલ્મો, ટેલિવિઝન અને થિયેટરની દુનિયાના જાણીતા અભિનેતા સલીમ ઘોષે 28 એપ્રિલ 2022ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધુ. ચેન્નાઈમાં જન્મેલા સલીમ ઘોષે 1976માં શ્યામ બેનેગલની ફિલ્મ મંથનથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે કલયુગ, ચક્ર, મોહન જોશી હાજીર હો, સૂર્ય, દ્રોહી, મહારાજા, સોલ્જર અને કોયલા જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.
સિદ્ધુ મૂસેવાલા
29 મેના રોજ એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા જ્યારે પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી. આ સમાચારે માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહિ પરંતુ રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચાવી દીધી હતી. પંજાબ સરકારે એક દિવસ પહેલા સિદ્ધુ મુસેવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો અને બીજા જ દિવસે તેને ઠાર મારવામાં આવ્યો હતો. આ મામલામાં પંજાબ સરકારે ન્યાયિક પંચની રચના કરવાની જાહેરાત કરી છે.