વિચાર્યુ નહોતું કે યશ ચોપરા હવે નથી એમ લખવું પડશે - અમિતાભ
મુંબઈ, 22 ઑક્ટોબર : રોમાંસના બાદશાહ અને જાણીતાં ફિલ્મ નિર્માતા યશ ચોપરાએ રવિવારનું રવિવારે સાંજે પાંચ વાગ્યે મુંબઈની લીલાવતી હૉસ્પિટલે અવસાન થઈ ગયુ હતું. તેઓ ડેંગ્યુની બીમારીથી પીડાતા હતાં અને છેલ્લા નૌ દિવસથી હૉસ્પીટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. તેઓ 80 વર્ષના હતાં. તેમના નિધનના સમાચાર મળતાં જ ટ્વિટર પર શ્રદ્ધાંજલિનો અવિરત પ્રવાહ શરૂ થઈ ગયો.
યશ ચોપરાની તબીયત 11મી ઑક્ટોબરની રાતથી જ થોડીક ખરાબ હતી. 12મીએ સવારે તેમની તબીયત વધુ લથડતાં 13મી ઑક્ટોબરે બપોરે તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ટ્વિટર ઉપર આજે સમગ્ર દિવસ દરમિયાન બૉલીવુડની વિવિધ હસ્તીઓએ યશ ચોપરાને શબ્દાંજલિ આપી.
અમિતાભ બચ્ચન : મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એવો દિવસ આવશે કે જ્યારે મારે કહેવું પડશે કે યશ ચોપરા હવે નથી. તેઓ બહુ જલ્દી જતાં રહ્યાં.
કરણ જૌહર : બહુ ઓછા બાળકોને એક જ જીવનમાં બે પિતાઓનું સુખ મળે છે. યશ ચોપરાએ મને એવું જ સુખ આપ્યુ છે. હું યશ ચોપરાને બહુ યાદ કરીશ.
સોનૂ નિગમ : યશજીના દર્શન બા હું પોતાના ઘરે જઈ રહ્યો છું. કોઈ પણ શબ્દ તેમના જેવી પર્સનાલિટીને નિર્જીવ જોવાના દુઃખને વ્યક્ત ન કરી શકે.
સલમાન ખાન : આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ છે. જે કઈં થયું, તેની ઉપર મને વિશ્વાસ નથી થતો. યશ ચોપરા, મૅન ઑફ લવ આપણને છોડી ચાલ્યા ગયાં.
અક્ષય કુમાર : હું હજુય શોકમાં છું. મને હજુય એ વાત ઉપર વિશ્વાસ નથી થઈ રહ્યો કે પ્રેમને જીવંત કરનાર યશ ચોપરા હવે નથી. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે.
મનોજ બાજપાઈ : યશજી આપણી સાથે હવે આ દુનિયામાં નથી. હું પૂર્ણત્વે શૉક્ડ હતો કે જ્યારે મેં મુંબઈ આવતાં આ સમાચાર સાંભળ્યાં. હું દુઆ કરૂ છું કે તેમના આત્માને શાંતિ મળે.
અનુપમ ખેર : યશજી મારા સૂત્રધાર હતાં. મારી તાકાત હતાં અને મુંબઈમાં મારા પિતા સમાન હતાં. મને ખબર જ ન પડી કે ક્યારે અમારા સંબંધો ફિલ્મોથી લઈ ઘર સુધી પહોંચી ગયાં.
અનુરાગ બાસુ : યશ ચોપરાએ જે પ્રકારના સંબંધો મોટા પડદે કંડાર્યાં, તેવું કાર્ય આજ સુધી કોઈ નથી કરી શક્યું અને કોઈ કરી પણ નહિં શકે.
ભારતીય ફિલ્મોના આધાર સ્તંભોમાંના એક ગણાતા અને દેશને યાદગાર ફિલ્મો આપનાર કિંગ ઑફ રોમાંસના હુલામણા નામે જાણીતાં થયેલ યશ ચોપરાએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે હવે તેઓ ફિલ્મ નિર્માણમાંથી સંન્યાસ લેવાનાં છે. તેમની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન છે કે જે આવતા મહીને રિલીઝ થવાની છે. ફિ્લ્મમાં શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા છે. સૌને આશા હતી કે આ ફિલ્મ પણ તેમની બાકીની ફિલ્મોની જેમ બહેતરીન હશે, પણ યશ ચોપરા આમ અધવચ્ચે જતાં રહેશે, એવી કોઈને અપેક્ષા નહોતી.
યશ ચોપરાના નિધનથી બૉલીવુડ ગમગીન બન્યું છે. અવસાનના સમાચાર મળતાં જ શાહરુખ ખાન, દિલીપ કુમાર, અનિલ કપૂર જેવા દિગ્ગજો લીલાવતી હૉસ્પિટલે પહોંચી ગયા હતાં. કોઈને વિશ્વાસન નહોતો થતો કે યશ ચોપરા આપણી વચ્ચે હવે નથી. દિગ્દર્શક તરીકે તેમની છેલ્લી ફિલ્મ જબ તક હ જાન છે. તેમાં તેમણે પોતાના પુત્રની જેમ શાહરુખ ખાનને સ્ટાર કાસ્ટ કર્યા છે. આઠ ફિલ્મફૅર અને એક નેશનલ એવૉર્ડ જીતનાર યશ ચોપરા જતાં બૉલીવુડ દુઃખી અને હતપ્રભ છે.