પદ્મ શ્રી ભાવના સોમૈયાની વાર્તા પરથી બન્યુ ગુજરાતી નાટક 'રિમઝિમ વરસે જિંદગી'
પદ્મ શ્રી ભાવના સોમૈયાની વાર્તા પરથી બન્યુ ગુજરાતી નાટક 'રિમઝિમ વરસે જિંદગી'
ગુજરાતી નાટક રસિકો માટે વધુ એક ગુજરાતી નાટક આવી રહ્યું છે. નવું ગુજરાતી નાટક 'રિમઝિમ વરસે જિંદગી’ આ 22 ફેબ્રુઆરીના રોજ એટલે કે શનિવારથી મુંબઈમાં ઓપન થઈ રહ્યું છે. પદ્મશ્રી ગુજરાતી લેખિકા ભાવના સોમૈયાએ લખેલી એક કથા પર આધારિત આ નાટક રવિવારે મુંબઈના તેજપાલ ઓડિટોરિયમમાં પ્રથમ વખત ભજવાશે. ભાવના સોમૈયા જાણીતા ફિલ્મ પત્રકાર, લેખિકા અને ઈતિહાસકાર છે. 2017માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમનું પદ્મશ્રીથી સન્માન કર્યુ હતું.
શું છે નાટકની વાર્તા?
નાટકમાં એક એવી યુવતીની વાત છે, જેને બે રસ્તામાંથી એક રસ્તો પસંદ કરવાનો આવે છે. નાટકની વાર્તા અવિનાશ અને અક્ષય નામના બે મિત્રોથી શરૂ થાય છે. અવિનાશ ભારતમાં પ્રોફેસર છે અને પત્ની રાધિકા સાથે રહે છે. જ્યારે અક્ષય અમેરિકામાં બિઝનેસ કરે છે. દાયકાઓ બાદ આ બંને મિત્રો ભેગા થાય છે. અવિનાશની પુત્રિ રિમઝિમ મ્યુઝિક અને કવિતાક્ષેત્રે કામ કરી રહી છે. અવિનાશ રિમઝિમનો પાલકપિતા છે અને અક્ષય જન્મદાતા. નાટકમાં એવા ટ્વિસ્ટ આવે છે, જેના કારણે રિમઝિમ જિંદગીના ત્રિભેટે આવીને ઉભી રહી જાય છે. બે પરિવાર વચ્ચે રીતસર ખેંચાય છે. આ નાટક હાસ્યની સાથે સાથે લાગણીથી તરબોળ છે. એક પિતા અને પુત્રીના સંબંધોની વાત આ નાટક લઈને આવી રહ્યુ છે.
આ છે નાટકની કાસ્ટ
નાટકમાં જાણીતા અભિનેતા સનત વ્યાસ, દિલીપ દરબાર ઉપરાંત ટીવી પડદે જાણીતા એક્ટ્રેસ નાદિયા હિમાની, શ્રદ્ધા સુધાર, ક્રિષ્ના શુક્લ જેવા એક્ટર્સ મહત્વના રોલમાં છે અને શ્રદ્ધા સુથાર આ નાટકનો ટાઈટલ રોલ નિભાવી રહી છે. ‘રિમઝિમ વરસે જિંદગી' નાટક જાણીતા કવિ હિતેન આનંદપરાએ લખ્યુ છે. તો સ્ક્રીન પ્લે પ્રીતેષ સોઢાએ લખ્યો છે, અને કિરણ ભટ્ટે આ નાટકને ડિરેક્ટ કર્યુ છે. જતન ભટ્ટે પ્રોડ્યુસ કરેલા નાટકનો પહેલો શો મુંબઈમાં યોજાવા જઈ રહ્યો છે.
કોણ છે ભાવના સોમૈયા?
ભાવના સોમૈયા એક પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ પત્રકાર, આલોચક, લેખક અને ઈતિહાસકાર છે. ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે ભાવના સોમૈયાને 2017માં પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 1978માં ફિલ્મ રિપોર્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કર્યા બા તેઓ 1980 અને 1990 દરમિયાન કેટલીય ફિલ્મ પત્રિકાઓ સાથે કામ કરવા લાગ્યાં. 2002થી 2007 દરમિયાન તેઓ 'સ્ક્રીન' નામની અગ્રણી ફિલ્મ પત્રિકાના સંપાદક રહ્યાં. ભાવ સોમૈયાએ હિન્દી સિનેમાના ઈતિહાસ અને બૉલીવુડ સ્ટાર્સની આત્મકથાઓ પર 13 પુસ્તકો લખ્યાં છે.
આ પણ વાંચો-ફરાહ ખાને જણાવ્યુ કેમ ‘મે હુ ના'માં મુસલમાન નહિ, હિંદુને બનાવ્યા હતા આતંકી