‘કેમ છો’ને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યું સન્માન, ફિલ્મે જીત્યા આ એવોર્ડ
ગુજરાતી ફિલ્મ ‘કેમ છો?'ને દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન મળ્યું છે.
ગુજરાતી ફિલ્મ 'કેમ છો?'ને દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન મળ્યું છે. ગુજરાતી દર્શકોને ગુજરાત સ્થાપના દિવસે આ સારા સમાચાર મળ્યા છે. છેલ્લા 10 વર્ષથી યોજાતા દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં 'કેમ છો?'ને સ્પેશિયલ ફેસ્ટિવલ મેન્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. 30 એપ્રિલ એ ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર દાદાસાહેબ ફાળકેની જન્મજયંતી છે, ત્યારે આ જ દિવસે એવોર્ડ અનાઉન્સ કરવામાં આવે છે.
એવોર્ડની જાહેરાત ઓનલાઈન કરવામાં આવી
જો કે, હાલ લોકડાઉનને કારણે એવોર્ડ કમિટી દ્વારા આ એવોર્ડની જાહેરાત ઓનલાઈન કરવામાં આવી છે. ફિલ્મ ‘કેમ છો?'ના પ્રોડ્યુસર શૈલેષ ધામલિયાએ વન ઈન્ડિયા સાથે વાત કરતા એવોર્ડ જીતવાની ખુશી વ્યક્ત કરી છે. શૈલેષ ધામલિયાએ આ એવોર્ડ રિશી કપૂર અને ઈરફાન ખાનને ડેડિકેટ કર્યો છે. આ અવસરે વાત કરતા તેમણે કહ્યું,'કોઈ એક વ્યક્તિને થેન્ક્યુ નથી કહેવું. આ અમારી આખી ટીમના પ્રયત્નને આભારી છે. સ્પોટબોયથી લઈને પ્રોડ્યુસર સુધી દરેકનું યોગદાન મહત્વનું હોય છે. દરેકે પોતાના ઘરના પ્રસંગની જેમ કામ કર્યું છે. બધાની મહેનતને કારણે આ એવોર્ડ ફિલ્મને મળ્યો છે.'
ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર અવેલેબલ
ગૌરવની વાત એ છે કે આ પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ માટે વિશ્વના 50થી વધુ દેશોમાંથી નોમિનેશન્સ આવે છે. આવી ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ‘કેમ છો?'એ એવોર્ડ જીત્યો છે, જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ ગૌરવની ક્ષણ છે. ઉલ્લેખનીય છે કે તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા સ્ટારર ફિલ્મ ‘કેમ છો?'ને દર્શકોએ પણ વખાણી હતી. આર્ટમેન ફિલ્મ લિમિટેડ પ્રોડક્શન વિપુલ શર્માએ ડિરેક્ટ કરેલી એક પરિણીત પુરુષની વ્યથા દર્શાવતી આ ફિલ્મે બોક્સઓફિસ પર પણ સારુ પ્રદર્શન કર્યુ હતું. હાલ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર અવેલેબલ છે.
વધુ એક ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે
આ સાથે જ પ્રોડ્યુસર શૈલેષ ધામલિયાએ વન ઈન્ડિયા સાથે એક્સલુઝિવ વાત કરતા વધુ એક ખુશીની વાત પણ શૅર કરી છે. લૉકડાઉન બાદ તેમની તુષાર સાધુ સાથેની જ વધુ એક ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. ત્યારે ટૂંક સમયમાં તુષાર સાધુ ફરી આપણને સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસનો અંત નજીક, 21 મેએ આવશે અંતિમ નવો કેસઃ MSEPP