કપિલ-સુનીલના ઝગડામાં સૌથી મોટો ફાયદો થયો કૃષ્ણા અભિષેકને...
કપિલ શર્મા શોની ટીમ સુનીલ ગ્રોવર, સુગંધા મિશ્રા અને અલી અસગર કોમેડિયન કૃષ્ણા અભિષેકના નવા શોમાં જોવા મળે એવી શક્યતા છે.
કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરનો ઝગડો જૂની વાત થઇ ગઇ છે, પરંતુ આ ઝગડાના પડઘા હજુ શમ્યા નથી. એક તરફ કપિલ ખૂબ મુશ્કેલી પછી પોતાના શોને જીવનદાન આપવામાં સફળ રહ્યાં છે, તો બીજી બાજુ સુનીલ ગ્રોવર લાઇવ શોમાં બિઝી થઇ ગયાં છે. આ ઝગડા બાદ બંન્નેના કરિયરની ગાડીને પાટા પર આવતા ઘણી વાર લાગી રહી છે.
સુનીલની એક્ઝિટ બાદ કપિલ શર્માના શોની ટીઆરપી ડાઉન થઇ ગઇ હતી. તો બીજી બાજુ સુનીલને અનેક ચેનલો તરફથી શોની ઓફર આવી રહી હતી, પરંતુ તેઓ કોઇ એક ચોનલ પર પસંદગી નહોતા ઉતારી શકતા. આ બધામાં કોમેડિયન કૃષ્ણાએ પોતાનો ફાયદો શોધી લીધો છે.
કપિલની જૂની ટીમ કૃષ્ણાને શરણે
કપિલ-સુનીલ વિવાદ બાદ સુનીલ ગ્રોવરની પાછળ-પાછળ અલી અસગર, સુગંધા મિશ્રા, ક્રિએટિવ ડાયરેક્ટર પ્રિતી સિમોસ અને તેની બહેન નીતિ સિમોસે પણ કપિલના શોને ગુડ બાય કહી દીધું હતું. આ આખી ટીમ કૃષ્ણા અભિષેકના નવા શોમાં જોવા મળે એવી શક્યતા છે.
સોની ટીવી પર શરૂ થશે શો
ઉપલબ્ધ માહિતી અનુસાર આ શો, સોની ટીવી પર શરૂ કરવામાં આવશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબરો અનુસાર કૃષ્ણાએ સોની ટીવી સાથે નવો શો શરૂ કરવાની ખબરો અંગે હામી ભરી હતી. જો કે, તેણે આગળ કોઇ વિગત આપવાની ના પાડી દીધી હતી.
નવો શો 'કોમેડી કંપની'
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ આ શોનું નામ કોમોડી કંપની રાખવામાં આવ્યું છે. થિયેટરમાં કામ કરવા ઉત્સુક પરિવારની આસપાસ આ શોની વાર્તા ફરશે. કપિલની માફક જ કૃષ્ણા પણ આ શોમાં સેલિબ્રિટીઝને બોલાવી તેમની સાથે વાતચીત કરશે.
ફરી કપિલ-કૃષ્ણા થશે સામસામે
ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માનો શો 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' બંધ થવા પાછળનું કારણ કૃષ્ણાનો શો જ હતો. કપિલ શર્મા જેવી જ થિમ અને નામ સાથે કલર્સ પર જ કપિલના શોની પહેલાં કૃષ્ણાનો શો 'કોમેડી નાઇટ્સ બચાઓ' ટેલિકાસ્ટ થતો હતો. આ શો સામે કપિલે વાંધો ઉઠાવ્યો હતો અને બાદમાં ચેનલ જ છોડી દીધી હતી. ત્યાર બાદ સોની પર 'ધ કપિલ શર્મા શો' શરૂ કર્યો હતો. હવે કૃષ્ણાનો શો પણ સોની ટીવી પર જ ચાલુ થનાર છે.
ટ્યૂબલાઇટનો સ્પેશિયલ શો
અમે તમને જણાવ્યું જ હતું કે, બોલિવૂડના દબંગ સલમાને કપિલના શો પર ટ્યૂબલાઇટના પ્રમોશન માટે જવાની ના પાડી દીધી છે. એની જગ્યાએ તેઓ સોની પર એક સ્પેશિયલ મહાએપિસોડ શૂટ કરનાર છે, જેમાં સુનીલ ગ્રોવર, સુગંધા મિશ્રા અને અલી અસગર જોવા મળશે.
સોની ટીવીનો હેતુ
કહેવાઇ રહ્યું છે કે, આ એપિસોડ કરવા પાછળ સોની ટીવીનો હેતુ એ જોવાનો છે કે, સુનીલ અને અલીનો કોમેડી શો કેટલી ટીઆરપી લાવી શકે છે. જો આ એપિસોડની ટીઆરપી સારી રહી તો, આ એપિસોડને એક ફુલ શોનું સ્વરૂપ આપવામાં આવશે એમ કહેવાઇ રહ્યું છે.
સુપર નાઇટ વિથ ટ્યૂબલાઇટ
આ મહાએપિસોડનું નામ છે સુપર નાઇટ વિથ ટ્યૂબલાઇટ. જો આ એપિસોડના રેટિંગ સારા મળ્યા તો કપિલનો શો જોખમમાં મુકાઇ શકે એમ છે. સુનીલ ગ્રોવર પાસે કૃષ્ણા અભિષેક અને પોતાનો સોલો શો, એમ બે તકો છે. જ્યારે કપિલ પોતાના જૂના શોની મરમ્મતમાં જ વ્યસ્ત છે. એવી પણ ખબરો છે કે, સોની ટીવી કપિલનો શો ઓફ એર કરવાનું વિચારી રહી છે.
સલમાન અને સોહેલે મચાવી ધમાલ
લેટેસ્ટ જાણકારી અનુસાર, ટ્યૂબલાઇટ માટેના સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. આ શૂટિંગમાં સલમાન અને સોહેલે ખૂબ મજા કરી હતી. આ એપિસોડમાં ટેલિવૂડની હોટ એક્ટ્રેસ મૌની રોયનું પણ એક પરફોમન્સ જોવા મળશે. આ સિવાય સુપર ડાન્સર કિડ્સ દિત્યા, માસૂમ અને યોગેશનું પણ પરફોમન્સ જોવા મળશે.