રથયાત્રામાં 25 હજારથી વધુ પોલીસ કાફલો રહેશે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત
રથયાત્રામાં 25 હજારથી વધુ પોલીસ કાફલો રહેશે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત
અમદાવાદ ખાતે યોજાનાર જગન્નાથજીની પરંપરાગત 145મી રથયાત્રા શાંતિ, સલામતી અને સુરક્ષા માટે જરૂરી તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે શાંતિ અને સલામત રીતે રથયાત્રા સંપન્ન થાય તે માટે સઘન વ્યવસ્થા આદરી છે.
જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની મૂર્તિ સાથે અલગ અલગ ત્રણ રથ સાથેની યાત્રા સવાર કલાકે ૦૭/૦૦ વાગ્યે જગન્નાથજી મંદિરથી પરંપરાગત રૂટ ઉપરથી નિકળી નિયત રૂટ ઉપર મ્યુનિસિપલ કોઠા, રાયપુર ચકલા, ખાડીયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર પહોંચશે અને ત્યાં થોડા વિરામ બાદ પરત કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આર.સી. હાઈસ્કુલ, પિત્તળીયા બંબા, પાનકોરનાકા, માણેકચોક થઈ નિજ મંદિરે પરત ફરશે. સમગ્ર રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
રથયાત્રામાં આ વર્ષે પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રા રૂટમાં આવતા કારંજ, શાહપુર, માધવપુરા, ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કાલુપુર, ખાડીયા તથા દરિયાપુર એમ ૮ પોલીસ સ્ટેશનોમાં મિની કંટ્રોલરૂમની વ્યવસ્થા કરાઈ છે. જ્યાંથી પળેપળની ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં આવનાર છે.
રથયાત્રાનું લાઈવ મોનિટરિંગ કરવા રૂટ પર સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાનું લાઈવ મોનિટરિંગ કંટ્રોલરૂમ ઉપરાંત જે તે લોકલ પો.સ્ટે વિસ્તારમાં કરાશે. જ્યારે રૂટ પર આવતા તમામ પોલીસ સ્ટેશનોમાં સી.સી.ટી.વી વ્હિકલ દ્વારા પેટ્રોલીંગ કરાશે. મૂવિંગ બંદોબસ્તમાં રથયાત્રા મોબાઈલ વાહનો પર સી.સી.ટી.વી કેમેરા ગોઠવાનાર છે. આ સિવાય બોડીવોર્ન કેમેરાથી પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખશે. સમગ્ર રથયાત્રા રૂટ પર આતંકવાદી કે અન્ય ભાંગફોડની પ્રવૃત્તિ અટકાવવા માટે બોંબ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ૧૦ ટીમ, ચેતક કમાન્ડો, ડોગ સ્કવોડ, નેત્રા જેવી ટીમો ફરજમાં તહેનાત રહેશે. રથના સમગ્ર રુટ ઉપર અલગ અલગ સ્થળો પર ડ્રોન કેમેરા દ્વારા પણ બાજ નજર રાખવામાં આવશે.
રથયાત્રાના જરૂરી સ્થળોએ ટ્રાફિક નિયમન ડાયવર્ઝન અને બેરીકેડીંગ પણ કરાશે. રથયાત્રાની સાથે બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ત્રણે રથની ત્રણ લેયરમાં સુરક્ષામાં સાથે રહેશે. રથયાત્રાની સમગ્ર સુરક્ષા જવાબદારી DG અને IG રેન્જના 8, SP રેન્જના 30, ACP રેન્કના 135 અધિકારીઓ, SRP તથા CAPFની 68 કંપનીઓ મળીને કુલ 25,000થી વધુ પોલીસકર્મચારીઓ સંભાળશે.
રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રીએ જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજ સહિત ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી રથયાત્રા સંદર્ભે વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. તેમજ રથયાત્રાના રૂટમાં આવતાં સ્થળોની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.