પંજાબની જીતનો જશ્ન ગુજરાતમાં મનાવશે AAP, કેજરીવાલે દિલ્લીથી મોકલ્યા ઘણા નેતા, આ વર્ષે અહીં પણ છે ચૂંટણી
પંજાબની પ્રચંડ જીતનો જશ્ન હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ મનાવશે.
અમદાવાદઃ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટી(આપ) હવે ગુજરાત ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. ગુજરાતમાં પણ આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ગઢ છે. અહીં ભારતીય જનતા પાર્ટી(ભાજપ) વર્ષોથી સતત ચૂંટણી જીતતી આવી રહી છે. જો કે, ગયા વર્ષે આમ આદમી પાર્ટીએ અહીં દસ્તક આપી દીધી.
ગુજરાતમાં પંજાબનો જશ્ન મનાવશે આપ
પંજાબની પ્રચંડ જીતનો જશ્ન હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ મનાવશે. કાલે ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં ભાજપે 4 રાજ્યોમાં જીતની ઉજવણી કરી છે. આજે પણ પીએમ મોદી ગુજરાતમાં રહેશે અને ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. સમાચાર છે કે દિલ્લીની સત્તા પર બેઠેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પણ પોતાના ઘણા નેતાઓને ગુજરાતમાં મોકલી દીધા છે.
તિરંગા યાત્રા સાથે સભ્યપદ અભિયાન ચલાવશે
અહીં ચૂંટણી પહેલા કેજરીવાલ ખુદ ગુજરાત આવશે. તેમની પાર્ટીના નેતાઓ પાસેથી મળેલી માહિતી મુજબ આપે પંજાબમાં મળેલી પ્રચંડ જીતને રાષ્ટ્રીય ફલક સુધી લઈ જવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. હવે આમ આદમી પાર્ટી(આપ) ગુજરાત અને યુપીમાં તિરંગા યાત્રા સાથે સભ્યપદ અભિયાન શરુ કરશે. તિરંગા યાત્રામાં હજારો આપ સમર્થક શામેલ થશે. આના માટે ઘણા નેતા અહીં મોકલવામાં આવ્યા છે.
સમય પહેલા થઈ શકે છે ચૂંટણી
ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ મોટાપાયે સભ્યપદ અભિયાન ચલાવશે. જાણવા મળ્યુ છે કે અમુક રાજકીય નિયુક્તિઓ એપ્રિલમાં થશે. રાજ્યની વિવિધ બોર્ડના નિગમોમાં 100થી 150 લોકોને ચેરમેન તેમજ નિર્દેશક બનાવવાની તૈયારીઓ છે. ત્યારબાદ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.