અમદાવાદમાં બે દિવસમાં કોરોનાના કેસમાં 53%નો ઘટાડો પરંતુ મૃત્યુઆંકમાં વધારો
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં રાહતજનક ઘટાડો થઈ રહ્યો છે.
અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં રાહતજનક ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે અમદાવાદમાં 4441 નવા કેસ નોંધાયા હતા. શનિવારે અમદાવાદમાં 8332 નવા કેસ નોંધાયા હતા. આમ બે જ દિવસનાં અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસમાં 53%નો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં સક્રિય કેસ 52,231 છે જે 17 જાન્યુઆરીના રોજ 24091 નોંધવામાં આવ્યા હતા એટલે કે સક્રિય કેસ બમણા થઈ ગયા છે. જો કે કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થવાથી થોડી રાહત મળી છે.
અમદાવાદમાં હાલમાં બાવન હજારથી વધુ સક્રિય કેસ સામે હોસ્પિટલમાં 640 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનુ પ્રમાણ 1.50%થી ઓછુ છે. કોરોનાના 98.50 ટકા દર્દીઓ હળવા લક્ષણો ધરાવે છે અને હોમઆઈસોલેશનથી જ સાજા થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં 346, એસવીપીમાં 191 અને સિવિલમાં 103 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આ પૈકી ખાનગી હોસ્પિટલોમાં 185 દર્દી આઈસોલેશનમાં, 106 દર્દી એચડીયુમાં, 33 દર્દી આઈસીયુ-વેન્ટિલેટર વિનાના જ્યારે 22 દર્દી વેન્ટિલેટર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના કેસોમાં ઘટાડોનો ક્રમ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13805 નવા કેસ નોંધવામાં આવ્યા છે. આમ, બે જ દિવસમાં રાજ્યમાં કોરોના કેસોમાં 40 ટકાનો ઘટાડો થયો છે. જો કે કોરોનાથી થઈ રહેલા મૃત્યુમાં સતત વધારો ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં 25 વ્યક્તિતના કોરોનાથી મોત થયા છે. ગયા વર્ષની 30 એટલે કે 239 દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલ આ સૌથી વધુ દૈનિક મૃત્યુઆંક છે.
શહેરોની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ 6, સુરત-વડોદરામાંથી 4, જામનગરમાંથી 3, રાજકોટ-ભાવનગરમાંથી બે, કચ્છ-મહેસાણા-પંચમહાલ-વલસાડમાંથી 1-1 વ્યક્તિના કોરોનાતી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10,274 થયો છે. આ પૈકી જાન્યુઆરીના 24 દિવસાં 156 વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી માત્ર અમદાવાદમાં કુલ 3460 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે.