છત્તીસગઢના કાંકેરમાં IED ડિફ્યુઝ કરતી વખતે 3 જવાનો શહીદ, દેશને 'નક્સલ મુક્ત' જાહેર કર્યા બાદ મોટી ઘટના
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા જમીનમાં છુપાવેલા જૂના IED (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) ને નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં પોલીસના ત્રણ જવાનો શહીદ થયા, જેમાં એક ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ ઘટના શનિવારે બની હતી, જ્યારે સુરક્ષા દળો વિસ્તારને સુરક્ષિત કરવાનું ઓપરેશન ચલાવી રહ્યા હતા.
બસ્તર રેન્જના IG પી. સુંદરરાજે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી કે તે કાંકેર જિલ્લાના છોટેબેટિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં બની હતી. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે નક્સલવાદીઓએ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં બોમ્બ પ્લાન્ટ કર્યા છે, જેના આધારે DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) ની ટીમ 'ડીમાઈનિંગ ઓપરેશન' પર નીકળી હતી.
DRG ટીમે એક IED શોધી કાઢ્યો, પરંતુ તેને નિષ્ક્રિય કરવાના પ્રયાસ દરમિયાન તેમાં અચાનક મોટો વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ચાર જવાનો તેની ઝપેટમાં આવી ગયા. ઇન્સ્પેક્ટર સુખરામ વટ્ટી, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણ કોમરા અને કોન્સ્ટેબલ સંજય ગાઢપાલે ઘટનાસ્થળે જ શહીદ થયા.
અન્ય એક જવાન પરમાનંદ કોમરા ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે આ દુઃખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું.

મુખ્યમંત્રી સાયે લખ્યું, "કાંકેર-નારાયણપુર સીમા ક્ષેત્રમાં ડીમાઈનિંગ અભિયાન દરમિયાન IED વિસ્ફોટમાં DRGના ત્રણ વીર જવાનો શહીદ થવા તથા એક જવાનના ઘાયલ થવાના અત્યંત દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા."
તેમણે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલ જવાનના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. મુખ્યમંત્રીએ ઉમેર્યું, "રાજ્ય સરકાર શહીદ પરિવારો અને ઘાયલ જવાનની સાથે પૂરી સંવેદનશીલતા અને દ્રઢતાથી ઊભી છે. તેમનું સાહસ, સમર્પણ અને બલિદાન હંમેશા સ્મરણીય રહેશે."
આ ઘટના વધુ ચિંતાજનક છે કારણ કે 31 માર્ચે જ દેશને 'સશસ્ત્ર માઓવાદ' અને છત્તીસગઢ રાજ્યને નક્સલ હિંસા મુક્ત જાહેર કરાયું હતું. આ ઘોષણાઓ બાદ રાજ્યમાં જવાનોનો જીવ લેનારી આ પહેલી મોટી નક્સલ સંબંધિત ઘટના છે, અને આ પહેલો IED વિસ્ફોટનો કિસ્સો છે.
જોકે, પોલીસે જણાવ્યું કે આ બોમ્બ નક્સલવાદીઓએ પહેલા જ પ્લાન્ટ કર્યો હતો, છતાં આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે. IG સુંદરરાજ પી.એ એ પણ માહિતી આપી કે, સુપરત થયેલા નક્સલવાદીઓ અને ગુપ્ત માહિતીના આધારે બસ્તરના સાત જિલ્લામાંથી સેંકડો IED જપ્ત કરીને નિષ્ક્રિય કરાયા છે.
આવા બોમ્બને સમયસર નિષ્ક્રિય કરીને જવાનોએ અનેક નાગરિકો અને પોતાના સાથી સુરક્ષાકર્મીઓની જિંદગીઓ બચાવી છે. પરંતુ, શનિવારે બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘડવામાં દેશે તેના ત્રણ બહાદુર સપૂતોને ગુમાવ્યા તે અત્યંત દુઃખદ બાબત છે.
દેશમાં નક્સલવાદની વર્તમાન સ્થિતિ અંગે વાત કરીએ તો, ભારત સરકારે દેશને 'વામપંથી ઉગ્રવાદ' (નક્સલવાદ) મુક્ત જાહેર કર્યા બાદ પ્રભાવિત વિસ્તારોને નવી શ્રેણીઓમાં વિભાજિત કર્યા છે.
છત્તીસગઢ સહિત 9 રાજ્યોના 37 જિલ્લાઓને હવે 'લિગેસી એન્ડ થ્રસ્ટ ડિસ્ટ્રિક્ટ્સ' તરીકે વર્ગીકૃત કરાયા છે. આનો અર્થ છે કે આ વિસ્તારોમાં ભલે હવે નક્સલવાદી હિંસા ન હોય, પરંતુ સુરક્ષા અને વિકાસ પર સતત ધ્યાન આપવું જરૂરી છે.
આ ઉપરાંત, ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જિલ્લા (ચાઈબાસા)ને 'ડિસ્ટ્રિક્ટ ઓફ કન્સર્ન' એટલે કે 'ચિંતાજનક જિલ્લા'ની શ્રેણીમાં મુકવામાં આવ્યો છે, જ્યાં અવિરત સતર્કતા અનિવાર્ય છે. આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના કુલ 38 જિલ્લાઓમાં સરકારનું ધ્યાન હવે સુરક્ષા સાથે વિકાસ કાર્યો પર પણ કેન્દ્રિત છે.












Click it and Unblock the Notifications
