વાઈબ્રન્ટ સમિટ બાદ અમદાવાદનો ફ્લાવર શો અને પતંગોત્સવ પણ કરાયો રદ
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શો અને પતંગોત્સવને પણ રદ કરવામાં આવ્યો છે.
અમદાવાદઃ કોરોના કેસોમાં વધારાને પગલે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાની જાહેરાત કર્યા બાદ હવે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો રદ કરવાની જાહેરાત કરી છે. વળી, અમદાવાદમાં યોજાનાર પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે કોરોના વિસ્ફોટના કારણે આજે વાઈબ્રન્ટ સમિટ પણ મોકૂફ રાખવાની જાહેર કરાઈ જે બાદ તરત જ ફ્લાવર શો પણ રદ કરવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો હતો જે હવે રદ કરી દેવામાં આવ્યો છે. વળી, આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ પણ રદ કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે અને સાથે ઓમિક્રૉનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને નાગરિકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં 40 જેટલા નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ પણ કોરોના સંક્રમિત છે. મંગળવારે આ બધા નેતાઓ રિવરફ્રન્ટ સ્થિત કાર્યક્રમમાં ધર્મચાર્ય આશીર્વાદ સમારંભમાં હાજર હતા. સમારંભમાં રાજ્યના 500થી વધુ સંતો હાજર હતા.