ઈસ્કોન બ્રીજ હિટ એન્ડ રન કેસમાં મૃતકોને 4 લાખ, ઘાયલોને 50 હજારના વળતરની CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
Ahmedabad Hit and Run: અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર બુધવારે મોડી રાતે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે અમદાવાદ બ્રીજ પર બુધવારે રાતે થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. અકસ્માતમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરુ છુ. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રુપિયા અને ઘાયલોને 50 હજાર રુપિયાની સહાય કરશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં બુધવારે મોડી રાતે ઈસ્કોન બ્રીજ પર ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગના વિદ્યાર્થીઓ અને કૉન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પણ સામેલ છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઈસ્કોન બ્રીજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત થયો હતો. જેને જોવા માટે ભીડ એકઠી થયેલી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસેથી પૂરપાટ ઝડપે આવતી લક્ઝુરીયસ જેગુઆર કારે આ ટોળા પર કાર ચડાવી દીધી હતી.
જેગુઆરની ટક્કર એટલી ભયાનક હતી કે ટોળામાં ઉભેલા લોકો હવામાં ફંગોળાઈ 25થી 30 ફૂટ દૂર પડ્યા હતા. ઘટના સ્થળ પર જ 6 લોકોના મોત થયા હતા. જ્યારે 3 લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા બાદ તેમના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ અકસ્માત કરનાર કાર ચાલક યુવક ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ છે. આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની અગાઉ પોલીસે ધરપકડ કરી હતી. 2020માં રાજકોટ ગેંગરેપ કેસમાં તે સામેલ હતો. આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 20, 2023












Click it and Unblock the Notifications
