અમદાવાદ-મુઝફ્ફરપુર ફેસ્ટિવલ વિશેષ ટ્રેન ફરીથી શરૂ, કોરોનાના લીધે કરાઈ હતી રદ
અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક ફેસ્ટિવલ ટ્રેન અગાઉ રદ કરી દેવામાં આવી હતી. આ ટ્રેન હવે ફરીથી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદઃ કોરોના વાયરસ મહામારીના કારણે રાજ્યમાં ટ્રેન સેવાઓ ઘણી પ્રભાવિત થઈ હતી. કોવિડ-19ના કારણે ઘણી ટ્રેનોને રદ કરવામાં આવી હતી. કોરોના વાયરસ મહામારીની ગંભીર સ્થિતિના કારણે મુસાફરોની સંખ્યા ઘટી જવાના લીધે અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક ફેસ્ટિવલ ટ્રેન અગાઉ રદ કરી દેવામાં આવી હતી. આ ટ્રેન હવે ફરીથી શરૂ કરવામાં આવી છે. ટ્રેન નંબર 05270 અમદાવાદ-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી દર શનિવારે 12 જૂનથી 26 જૂન સુધી દોડાવવામાં આવશે.

વળી, ટ્રેન નંબર 05269 મુઝફ્ફરપુર-અમદાવાદ દર ગુરુવારે 10 જૂનથી 24 જૂન સુધી દોડાવાશે. આ ઉપરાંત અમદાવાદથી પસાર થતી બીજી ત્રણ સ્પેશિયલ ટ્રેનોના ફેરા પણ વધારી દેવામાં આવ્યા છે. અમદાવાદ-સમસ્તીપુર 13 જૂને દોડાવાશે અને સમસ્તીપુર-અમદાવાદ 16 પણ દોડાવાશે. વળી, ઓખા-ગુવાહાટી 18 જૂન, ગુવાહાટી-ઓખા 21 જૂન અને રાજકોટ-સમસ્તીપુર 16 તેમજ સમસ્તીપુર-રાજકોટ 19 જૂને દોડશે.
તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ રેલવે હવે તેના કોવિડ નિયમોમાં પણ અમુક ફેરફાર કરવા જઈ રહ્યુ છે. રિપોર્ટ મુજબ RTPCR રિપોર્ટની અનિવાર્યતાને કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે માટે રેલવે આના પર પણ વિચાર કરી રહ્યુ છે. જો કે હવે મુસાફરો માટે આરટીપીસીઆર રિપોર્ટના બદલે શક્ય છે કોરોના વેક્સીનનુ સર્ટિફિકેટ અનિવાર્ય કરી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે રેલવેના કોવિડ પ્રોટોકૉલ હેઠળ આરક્ષિત ટિકિટોથી યાત્રા, સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક જરૂરી છે. મુસાફરીમાં ભોજન અને ધાબળા પર પણ રોક લગાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
