અમદાવાદમાં વહેલી સવારથી મોટાભાગના વિસ્તારમાં વરસાદ, ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં મોડી રાતે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરુ થઈ ગયો હતો.
અમદાવાદઃ અમદાવાદમાં મોડી રાતે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરુ થઈ ગયો હતો. શહેરમાં નરોડા, નિકોલ, કૃષ્ણનગર, રાણીપ, ઈસનપુર, મણિનગર, વટવા, ચાંદલોડિયા, જીવરાજપાર્ક, વેજલપુર, સેટેલાઈટ, એસજી હાઈવે, શિવરંજની, નારણપુરા, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સવારે ચાર કલાકમાં સરેરાશ એક ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા અને ઉસ્માનપુરામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે.
ઠેર-ઠેર પાણી ભરાવાનુ શરુ
ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાનુ શરુ થઈ ગયુ છે. સાયન્સ સિટીમાં 45 મિમી, ચાંદલોડિયામાં 52 મિમી, વિરાટનગરમાં 41 મિમી, મેમકોમાં 28 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે મણિનગરમાં પણ 30 મિમી વરસાદ થયો છે. અમદાવાદમાં શરુ થયેલા ભારે વરસાદના કારણે શહેરની ઘણી શાળાઓમાં સલામતીના ભાગ રુપે વિદ્યાર્થીઓને છોડવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેક બુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરુપ શાળાનુ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવો એમ અમદાવાદ શિક્ષણ અધિકારીએ અગાઉથી સૂચના આપેલી હતી.
અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાયા
રાજ્યના કુલ વરસાદના 47 ટકા વરસાદ માત્ર 5 દિવસમાં વરસ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ તેમજ મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 31035 નાગરિકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત નીપજ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. સૌ નાગરિકોને પોતાની સલામતી માટે આ હાઇવે પરનો પ્રવાસ ટાળવાનો જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે.
ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. આજે અમદાવાદ સહિત અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 જુલાઈના રોજ જૂનાગઢ,, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે માછીમારોને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.