અમદાવાદ 2008 સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં જજ કોરોના સંક્રમિત, સુનાવણી લંબાઈ
વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સુનાવણીની તારીખ લંબાવી દેવામાં આવી છે.
અમદાવાદઃ વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સુનાવણીની તારીખ લંબાવી દેવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટના જજ એ આર પટેલ કોરોના સંક્રમિત હોવાથી આ ચુકાદા માટેની સુનાવણી ટાળી દેવામાં આવી છે. આગામી સુનાવણી આગામી 8 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી ઘણા સમયથી સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહી છે. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો અને એક આરોપી સાક્ષી બન્યો હતો. આ કેસમાં મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્લીની જેલમાં બંધ છે. જ્યારે આરોપી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 જેટલી ફરિયાદો નોંધાયેલી છે.
આ કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. તમામ ચાર્જશીટ મળીને કુલ 51 લાખ જેટલા પાનાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેસમાં દરેક આરોપીનુ ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાંનુ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં અમદાવાદ અને સુરતમાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. અમદાવાદમાં 20 સ્થળોએ થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 58 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો અને 244 લોકોને ઈજા થઈ હતી. આ કેસમાં અત્યાર સુધી 1163 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે અને 1237 સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મૂકવામાં આવ્યા છે.