વાવાઝોડા 'તૌકતે'ની અસર, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ
ગુજરાતમાં 'તૌકતે' વાવાઝોડાનુ જોખમ તોળાઈ રહ્યુ છે. જેની અસર રાજ્યમાં ઠેર ઠેર જોવા મળી રહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં 'તૌકતે' વાવાઝોડાનુ જોખમ તોળાઈ રહ્યુ છે. જેની અસર રાજ્યમાં ઠેર ઠેર જોવા મળી રહી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. 'તૌકતે'ની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે સવારથી અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અમદાવાદના ઘણા વિસ્તારોમાં આજે પવન સાથે ધીમો વરસાદ પડ્યો હતો. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં સવારથી જ વાતાવરણ પલટાયુ હતુ અને સવારે ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો. શહેરમાં મણિનગર, ઘોડાસર, ઈસ્કોન, આંબલી, વેજલપુર, બાપુનગર, જોધપુર જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 'તૌકતે' વાવાઝોડા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. 18 મેના રોજ સવારે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે 18 મે સુધી પવનની ગતિ 150-160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવાના અણસાર છે. 175 કિલોમીટરની ઝડપે પણ થોડા સમય માટે પવન ફૂંકાઈ શકે છે.
Tauktae Cyclone Live Tracking: વાવાઝોડું તૌકતેની અસર, અમદાવાદમાં પવન સાથે વરસાદ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ. દીવ, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે 17 અને 18 મેએ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. 17મેના રોજ 145-155 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે 18 મેના રોજ 150-160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 19 મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે.