'Delhi Crime' ફેમ શેફાલી શાહ અમદાવાદીઓને હવે કરાવશે 'જલસા'!
'Delhi Crime' ફેમ શેફાલી શાહ અમદાવાદીઓને હવે કરાવશે 'જલસા'!
બોલીવુડના દિગ્ગજ એક્ટ્રેસ શેફાલી શાહ હવે અમદાવાદીઓને જલસા કરાવી રહ્યા છે. ખાવાના શોખીન અમદાવાદીઓ માટે શેફાલી શાહે એસ.જી.હાઈવે પર જલસા નામની રેસ્ટોરન્ટની શરૂઆત કરી છે. બોલીવુડની ટેલેન્ટેડ એક્ટ્રેસે હવે એક્ટિંગની સાથે સાથે ફૂડ બિઝનેસમાં ઝંપલાવ્યું છે, અને આ માટે તેમણે અમદાવાદની પસંદગી કરી છે.
જલસાના ઓપનિંગ માટે એક્ટ્રેસ પોતે ખાસ અમદાવાદ આવ્યા હતા, જ્યાં તેમણે દરેક ફૂડ ટેસ્ટ કરીને વન ઈન્ડિયા ગુજરાતી સાથે ખાસ વાતચીત પણ કરી. જેમાં તેમણે પોતાને ભાવતી વાનગીઓ, અમદાવાદની ગમતી જગ્યાઓ અને જલસાની ખાસ વાતો જણાવી.
જલસા શરૂ કરવાનું કારણ આપતા શેફાલી શાહે કહ્યું કે,'હું ફૂડી છું, મને જમવાનું ખૂબ જ ગમે છે, રસોઈ કરવી ગમે છે, ખાસ તો લોકોને જમાડવા ગમે છે, એટલે મેં રેસ્ટોરન્ટ ઓપન કરવાનું નક્કી કર્યું.' જલસાની ખાસ વાત તેની થીમ અને તેનું ઈન્ટીરયર છે. અહીં ટર્કિશ ફીલથી લઈને વીલેજ ફીલ પણ ઉભી કરાઈ છે. આ વિશે વાત કરતા શેફાલી શાહ કહે છે,'જલસાનો જે કન્સેપ્ટ છે, કે બધા ફેમિલી ફ્રેન્ડ્ઝ સાથે બેસીને જમે, એન્જોય કરે, ડાન્સ કરે. આ જગ્યા ખાસ એના માટે જ છે, એટલે જ એનું નામ જલસા રાખવામાં આવ્યું છે. અહીં અમે ગરબા કરવા પણ જગ્યા રાખી છે. કોવિડ પછી લોકો કંટાળ્યા છે, લોકો એન્જોય કરવાની તક શોધે છે. એટલે મને હતું કે 3 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના દાદા-દાદીને પણ અહીં આવીને મજા પડવી જોઈએ. એટલે અહીંનું ઈન્ટીરિયર સેલિબ્રેશન ફીલ આપે છે. સાથે જ અહીં ઈન્ટરનેશન ફીલ પણ મળે, એ પ્રકારની સીટિંગ અરેન્જમેન્ટ કરી છે. '
ઉલ્લેખનીય છે કે શેફાલી શાહના પિતા મેંગ્લોરિયન છે અને માતા ગુજરાતી, એટલે શેફાલી શાહને ગુજરાત સાથે ખાસ નાતો છે. ત્યારે અમદાવાદમાં જ કેમ રેસ્ટોરન્ટ ઓપન કરવાનું નક્કી કર્યું એ સવાલના જવાબમાં તેઓ કહે છે કે અમદાવાદમાં કેમ પહેલી પસંદ ન હોવી જોઈએ? એનું કોઈ કારણ નથી. અને હું જ્યારે કરિયરની શરૂઆતમાં નાટક કરતી, ત્યારે અમદાવાદમાં ઘણા શોઝ કર્યા છે. અહીંનું ફૂડ, લૉગાર્ડન, શોપિંગ બધું જ મને યાદ છે, એટલે અમદાવાદ મારા માટે ખાસ પણ છે.'
તો જલસાના ઈન્ટિરયરની સાથે સાથે તેનું ફૂડ પણ ખાસ છે. જલસામાં એટલું બધું છે કે એકવારે તમે જમી જ ન શકો. ફૂડ વિશે વાત કરતા શેફાલી શાહનું કહેવું છે કે,'એટલી વેરાયટી અમારી પાસે છે. અહીં તમારી સ્કૂલની બહાર મળતા આમળા, ચાટ મસાલા, કાચી કેરી પણ છે, આજની જનરેશન માટે કેન્ડી છે, ગોળા છે, ઓથેન્ટિક પંજાબી ફૂડ છે, અહીં ઓળો પણ મળશે, અહીં કોન્ટિનેન્ટલ અને મેક્સિકન ફૂડ પણ છે. તો અહીં ઢોકલા બર્ગર જેવી ફ્યુઝન વાનગી પણ છે. તમે તમારી જાતે બનાવી શકો એવી વાનગીઓની પણ અહીં વ્યવસ્થા છે. અમારી પાસે 50 જાતની પાણીપુરી છે.' એટલે કે જલસામાં જલસો કરવા માટે તમારે એકવાર નહીં અનેકવાર અહીં આવવું પડશે.