કેન્દ્ર સરકારે કઠોળમાં સ્ટૉક મર્યાદા લાગુ કરતા જ પુરવઠા વિભાગ આવ્યુ હરકતમાં
શહેર અન્ન અને નાગરિક પુરવઠા અને નિયંત્રણ કચેરીના માર્ગદર્શન હેઠળ શહેરના કઠોળના જથ્થાબંધ વેપારીઓના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદઃ શહેર અન્ન અને નાગરિક પુરવઠા અને નિયંત્રણ કચેરીના માર્ગદર્શન હેઠળ શહેરના કઠોળના જથ્થાબંધ વેપારીઓના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મદદનીશ નિયંત્રક દીપ દવેની સાથે પુરવઠા નિયામકોની જુદી જુદી ટીમો દ્વારા કઠોળના વેપારીઓના જથ્થાબંધ ગોડાઉન તેમજ દુકાનો ધરાવતા એકમોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેર પુરવઠા વિભાગની અનેક ટીમોની રચના આ કઠોળના વેપારીઓની સઘન તપાસ માટે કરવામાં આવી છે.
ઉચ્ચ કક્ષાની આ ટીમમાં પુરવઠા વિભાગના અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે કઠોળના ભાવમાં અસહ્ય ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા માટે સ્ટૉક મર્યાદા લાગુ કરી છે. મગ સિવાયના તમામ પ્રકારના કઠોળ પર સ્ટૉક મર્યાદા બનાવવા રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે. આ સ્ટૉક મર્યાદા હોલસેલર્સ, રિટેલર્સ, મિલર્સ તેમજ આયાતકારને લાગુ પડશે.
તમને જણાવી દઈએ કે જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 500 ટનની રાખવામાં આવી છે તેમાં કોઈ પણ વેરાઈટી કે જાતનો જથ્થો 200 ટનથી વધુ ન હોવો જોઈએ. રિટેલરો માટે સ્ટોક મર્યાદા પાંચ ટન યથાવત રાખવામાં આવી છે. મિલરો માટે મર્યાદા છ મહિનાના સરેરાશ ઉત્પાદનના 50 ટકા રાખવામાં આવી છે. આયાતકારો, મિલરોએ ગ્રાહક મંત્રાલય સમક્ષ ડિસેમ્બર સુધીમાં કઠોળનો જથ્થો જાહેર કરી શકશે.