IPL મેચોને કારણે અમદાવાદ મેટ્રોનો સમય બદલાયો, હવે આટલા વાગ્યા સુધી ચાલશે
અમદાવાદમાં રમાનારી ટાટા આઈપીએલની મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે. GMRC દ્વારા આગામી એપ્રિલ અને મે મહિનાની મેચો માટે ખાસ રાત્રિ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
આ દિવસોમાં મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમથી એપીએમસી રૂટ પર રાત્રે 10:00 થી 12:30 સુધી મેટ્રોની સુવિધા ઉપલબ્ધ રહેશે.

જૂના હાઈકોર્ટથી વસ્ત્રાલ અને થલતેજ ગામ માટે પણ રાત્રે 12:50 સુધી ટ્રેનો દોડતી જોવા મળશે. ગાંધીનગર કોરિડોરમાં મહાત્મા મંદિર સુધી જવા માટે રાત્રે ખાસ બે વધારાની મેટ્રો ટ્રેન દોડશે.
રાત્રિના સમયે મુસાફરો ફક્ત મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશનથી જ પ્રવેશ મેળવી શકશે. મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમથી પરત ફરવા માટે સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ખાસ પેપર ટિકિટનો દર વ્યક્તિ દીઠ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે જે તમામ સ્ટેશનો માટે માન્ય રહેશે. રાત્રે 10 વાગ્યા પછી સ્માર્ટ કાર્ડ કે ક્યુઆર ટિકિટને બદલે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ જ ચાલશે.
ભીડથી બચવા માટે ક્રિકેટ પ્રેમીઓ મેચ શરૂ થાય તે પહેલા જ આ ટિકિટ એડવાન્સમાં ખરીદી શકે છે. આ ટિકિટ કાલુપુર, જૂના હાઈકોર્ટ અને મહાત્મા મંદિર સહિતના પસંદગીના સ્ટેશનો પરથી પ્રાપ્ત થશે.












Click it and Unblock the Notifications
