અમારા રાજ્યમાં હિંદુ યુવતીઓને ફસાવવા અને ગૌહત્યા કરવાનુ બંધ કરોઃ ગુજરાત CM વિજય રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે અમારી સરકાર એવા લોકો સાથે કડક હાથે કામ લઈ રહી છે જે હિંદુ યુવતીઓને ફસાવે છે અને તેમને ભગાડીને લઈ જાય છે.
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે અમારી સરકાર એવા લોકો સાથે કડક હાથે કામ લઈ રહી છે જે હિંદુ યુવતીઓને ફસાવે છે અને તેમને ભગાડીને લઈ જાય છે. મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે આપણે ત્યાં ગૌહત્યાની ઘટનાઓ પર પણ કાબુ મેળવી લેવામાં આવશે. તેમણે કહ્યુ કે ગાય પૂજનીય છે. ગાયની તસ્કરી અને તેની હત્યા કરનારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત ગુનામુક્ત રાજ્ય બનશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે માલધારી સમાજ કે જેમનો પારંપરિક વ્યવસાય પશુપાલન છે તેમની એક સભાને સંબોધિત કરતા ઉપરોક્ત વાતો કહી છે. વળી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યુ કે અમારી સરકાર ઘણા કાયદા લાવી છે જેનાથી આ ઘટનાઓ અટકશે અને ગુનામુક્ત રાજ્ય બનશે. તેમણે શુક્રવારે આ કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે, 'અમે લવ જેહાદને રોકવા માટે પણ એક કાયદો લાવ્યા જેના દ્વારા અમે હિંદુ યુવતીઓને ફસાવવા અને તેમની સાથે ભાગી જનારા સામે કડક હાથે કામ લઈ રહ્યા છે.'
આવા લોકો ગુજરાત છોડીને જતા રહે..
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ, 'રાજ્યમાં ભાજપ સરકારે પણ ગૌહત્યામાં શામેલ લોકો પર કડક કાર્યવાહી કરી છે.' તેમણે કહ્યુ, 'મારી સરકાર કડક જોગવાઈઓ સાથે ઘણા કાયદા લાવી. તે ગાયોને વધથી બચાવવા માટે કાયદો હોય, ભૂમિ અધિગ્રહણને રોકવા માટે કાયદો હોય કે ચેઈન સ્નેચિંગમાં શામેલ લોકોને દંડિત કરવા માટેનો કાયદો હોય.' તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્ર્સ્ટ નિયોજિત ભવનના શિલાન્યાસ પ્રસંગે આ બધી વાતો કહી હતી. લવ જેહાદ વિશે તેઓ આ પહેલા પણ ઘણી વાર ચેતવણી આપી ચૂક્યા છે. એક વાર તેમણે કહ્યુ હતુ કે, 'હિંદુ યુવતીઓને છેતરીને તેમની જિંદગી બરબાદ કરનારા સુધરી જાય, આવા લોકો ગુજરાત છોડીને જતા રહે.. નહિતર એવી કડક સજા આપીશુ કે બહુ પસ્તાશે.'
બળજબરીથી કે છેતરપિંડીથી ધર્માંતરણ માટે કડક સજાની જોગવાઈ
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે આ વર્ષે ગુજરાત ધર્મની સ્વતંત્રતા(સુધારો)અધિનિયમ 2021, વિધાનસભામાં પાસ કરાવ્યો હતો. એપ્રિલમાં પ્રસ્તાવ પાસ થવા પર 15 જૂને તેને અધિસૂચિત કરી દેવામાં આવ્યો હતો. ગુજરાત ધર્મની સ્વતંત્રતા (સુધારા) અધિનિયમ-2021માં લગ્નના માધ્યમથી બળજબરીથી કે છેતરપિંડીથી ધર્માંતરણ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી. સાથે જ કથિત લવ જેહાદ સામે પણ કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી. આ મામલે સરકારને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે ગયા મહિને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે કાયદાની અમુક વિવાદાસ્પદ કલમો પર રોક લગાવી દીધી. સરકારે તેને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી.