અમદાવાદના રોડ હજૂ પણ ખરાબ કેમ? : AMC ને હાઇકોર્ટનો સવાલ
ગુજરાત હાઇકોર્ટે સોમવારના રોજ AMC ને પૂછ્યું કે, શહેરના રસ્તાઓ સારી રીતે સમારકામ રાખવા માટે કોર્ટના નિર્દેશોના ત્રણ વર્ષ બાદ પણ ખરાબ સ્થિતિમાં કેમ છે?
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે સોમવારના રોજ AMC ને પૂછ્યું કે, શહેરના રસ્તાઓ સારી રીતે સમારકામ રાખવા માટે કોર્ટના નિર્દેશોના ત્રણ વર્ષ બાદ પણ ખરાબ સ્થિતિમાં કેમ છે? જસ્ટિસ આશિષ દેસાઈ અને જસ્ટિસ નિર્ઝર દેસાઈની ખંડપીઠે AMC ને જાહેર રસ્તા પર પશુઓના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે રસ્તાની મરામત અને પરિસ્થિતિ અંગેની વિગતો જણાવવા કહ્યું છે.
આ સાથે હાઇકોર્ટે પુછ્યું હતું કે, તમે રસ્તાઓના સમારકામ અને નવીનીકરણ માટે કયા પ્રકારનાં પગલાં લઈ રહ્યા છો? અને તેના માટે તમને કેટલો સમય લાગશે? આ સાથે હાઇકોર્ટે પશુઓના સંચાલન (શેરીઓમાં) વિશે કોઇ ચોક્કસ નિવેદન પણ આપવા માટે જણાવ્યું છે. આ માટે હાઇકોર્ટે 22 ઓક્ટોબર સુધીમાં AMC પાસે જવાબ માંગ્યો છે.
હાઈકોર્ટે રસ્તાની જાળવણી, સરળ ટ્રાફિક હિલચાલ, પાર્કિંગની પૂરતી સુવિધાઓ અને જાહેર શેરીઓમાંથી રખડતા ઢોરને હટાવવા માટે અગાઉના આદેશના અયોગ્ય અમલ માટે કોર્ટના અવમાનના અરજીના જવાબમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. વર્ષ 2018માં અંતિમ અને વિગતવાર નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતા. અરજદારના વકીલ, અમિત પંચાલે ફરિયાદ કરી હતી કે, નાગરિક સંસ્થાએ સમયસર તેના દ્વિમાસિક અહેવાલો રજૂ કરવાની પણ તસ્દી લીધી નથી અને રસ્તાઓ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. જે અંતર્ગત ન્યાયાધીશોએ નાગરિક સંસ્થાને પ્રશ્ન કર્યો હતો.
હાઇકોર્ટે AMCને ફટકાર લગાવતા જણાવ્યું કે, ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતા અમદાવાદમાં રસ્તાઓની પરિસ્થિતિ કેમ ખરાબ છે? તમે રસ્તાની સ્થિતિ વિશે શું સૂચન કરો છો? તમે દર વર્ષે ચોમાસા પહેલા અને પછી શું પગલાં લો છો? શા માટે નાગરિક સંસ્થાને દર વર્ષે હાઈકોર્ટે નિર્દેશો આપવાની જરૂર પડે છે.
રસ્તાઓ પર ખાડાઓ અને અસમાન પેચવર્ક પર ન્યાયાધીશોએ નોંધ કરી હતી કે, જો કોઈ વાહન ધીમેથી ચલાવે છે, તો પણ વ્યક્તિ ત્રાસ અનુભવે છે. રસ્તામાં કોઈ સમારકામ નથી થયું. મુસાફરીના બે કિલોમીટરની અંદર, આવા ખાડાઓ છે.