અમદાવાદની એક સોસાયટી મામલે ધરપકડ કરાયેલ પાયલ રોહતગી કેટલી સંપત્તિની છે માલિક?
આવો, જાણીએ હંમેશા નિવેદનોથી બબાલ મચાવનાર પાયલ રોહતગી કોણ છે અને તે કેટલી સંપત્તિની માલિક છે?
નવી દિલ્લીઃ પોતાના નિવેદનોના કારણે ઘણી વાર મીડિયાના છવાયેલી રહેતી બૉલિવુડ અભિનેત્રી અને રિયાલિટી શો બિગ બૉસની પૂર્વ કન્ટેસ્ટન્ટ પાયલ રોહતગીની બે વર્ષની અંદર બીજી વાર ધરપકડ કરવામાં આવી. હાલમાં જ પાયલ રોહતગીએ સોસાયટીના ચેરમેન સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી જેને તેણે બાદમાં ડિલીટ કરી દીધી. પાયલ રોહતગી કોઈ પહેલી વાર વિવાદોમાં નથી. આ પહેલા 2019માં પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પર વિવાદિત ટિપ્પણી માટે પણ પાયલ જેલમાં જઈ ચૂકી છે. આવો, જાણીએ કોણ છે પાયલ રોહતગી અને તે કેટલી સંપત્તિની માલિક છે?
કોણ છે પાયલ રોહતગી?
ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કરી ચૂકેલ પાયલ રોહતગી બૉલિવુડની એક જાણીતી અભિનેત્રી છે. જો કે તેને સૌથી વધુ એટન્શન રિયાલિટી શો બિગ બૉસથી મળ્યુ. મૉડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરનાર પાયલ રોહતગી ફેમિના મિસ ઈન્ડિયા જેવી ઘણી બ્યુટી કૉન્ટેસ્ટમાં પણ ભાગ લઈ ચૂકી છે. 2001માં મિસ ઈન્ડિયા ટુરિઝમ અને સુપર મૉડલ મિસ ટુરિઝમ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલી પાયલ રોહતગીએ શરૂઆતમાં અમૂલ, નિરમા, ડાબર, નેસકેફી અને કેડબરી જેવી મોટી બ્રાંડમાં જાહેરાતો કરી પરંતુ પાયલ રોહતગી ફિલ્મી કરિયરથી વધુ તો પોતાના નિવેદનોના કારણે સમાચારોમાં રહે છે. પાયલ રોહતગીના પતિ સંગ્રામ સિંહ એક રેસલર હોવા સાથે સાથે અભિનેતા પણ છે અને અમુક ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
કેટલી સંપત્તિની માલિક છે પાયલ રોહતગી
મૉડલિંગથી લઈને અભિનેત્રી સુધી પાયલ રોહતગીએ બૉલિવુડમાં એક લાંબી સફર કાપી છે. પાયલ રોહતગીએ 2002માં ફિલ્મ 'યે ક્યા હો રહા હે'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. ત્યારબાદતે રિયાલિટી શો ખતરો કે ખિલાડી-2 અને બિગ બૉસમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી. મીડિયા રિપોર્ટ મુજબ પાયલ રોહતગી લગભગ 19 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.
કયા કેસમાં થઈ ધરપકડ
પાયલ રોહતગીની જે વિવાદમાં ધરપકડ કરવામાં આવી છે તે ઘણા દિવસોથી ચાલી રહ્યો હતો. પાયલ સામે અમદાવાદમાં તેની જ સોસાયટીના મેમ્બર ડૉક્ટર પરાગ શાહે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે પાયલ રોહતગીએ સોસાયટીના ચેરમેન સામે સોશિયલ મીડિયા પર ભદ્દી ભાષાનો ઉપયોગ કર્યો એટલુ જ નહિ પરંતુ તેમને જાનથી મારવાની ધમકી પણ આપી. આ ઉપરાંત તેમના પર આરોપ લગાવ્યો છે કે ગઈ 20 જૂને તે સોસાયટીની મેમ્બર ન હોવા છતાં મીટિંગમાં પહોંચી અને બોલવા પર ગાળો દેવા લાગી. અમદાવાદ પોલિસે ફરિયાદ મળ્યા બાદ પાયલ રોહતગી પર કેસ નોંધીને તેની ધરપકડ કરી લીધી.
'હું જાણુ છુ કે મને ફસાવવામાં આવી રહી છે'
પાયલ રોહતગીએ શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ભગવાન શિવની પૂજા કરતો પોતાનો એક વીડિયો શેર કર્યો. આ વીડિયોના કેપ્શનમાં પાયલ રોહતગીએ લખ્યુ, 'હું જાણુ છુ કે અમુક લોકો દ્વારા એક એજન્ડા પૂરો કરવા માટે મારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લોકો ખુદ ગંદા કામ કરવા નથી માંગતા પરંતુ હું ફસાઈ રહી છુ. જો કે મને ખબર છે કે મને ફસાવવામાં આવી રહી છે પરંતુ ભગવાન પાસે મારા માટે એક પ્લાન છે જેને આ પાવરફૂલ લોકો અડી પણ નહિ શકે.'
લાંબા સમયથી છે સોસાયટીનો વિવાદ
સોસાયટી માટે પાયલ રોહતગીનો વિવાદ ઘણો લાંબો છે. હાલમાં જ તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ હતુ, 'અમારી સોસાયટીના જે ચેરમેન છે, જે મોટાભાગો ગુંડાગિરી કરે છે. હવે એ જ તથાકથિત ચેરમેને કહ્યુ કે હું બોલી ના શકુ. આ જોકર્સે મને મારા ફાધરની જગ્યાએ બોલવા ન દીધી. દેખાય છે કે આ સોસાયટીવાળાઓની કોઈ બુદ્ધિ નથી. જે લોકો મારી તરફ ચાર્જ કરતા આવ્યા તેમનુ કહેવુ છે કે આવુ ન કર નહિતર જેલ થઈ જશે. હવે આ જે ગેરકાયદે સોસાયટી બની છે એનુ લાયસન્સ કેન્સલ કરાવવુ છે. જોઈએ છે કેટલા લોકોએ શું-શું યોગદાન આપ્યો છે આ નકલી સોસાયટીને બનાવવામાં.'
સોસાયટી મામલે જાવેદ અખ્તર પણ આવ્યા
આ સોસાયટી વિવાદમાં પાયલ રોહતગીએ જાવેદ અખ્તરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ, 'એવુ શું છે કે સોશિયલ મીડિયાના જમાનામાં બહુ મોટી બેવકૂફી હોય છે, જ્યારે લોકો પબ્લિક એરિયામાં ખુદ પોતાના નોકરોના ફોટા પાડે છે અને અમને તે પબ્લિક મીટિંગનુ રેકૉર્ડિંગ નથી કરવા દેતા. હવે એ પબ્લિક મીટિંગ, જેનુ રેકૉર્ડિંગ એ લોકો ખુદ જિલ્લા રજિસ્ટ્રારની ઑફિસમાં મોકલવાના છે, કારણકે તેમને બતાવવાનુ છે કે તેમણે જે કાયદા પાસ કર્યા છે તે બહુમતથી પાસ કર્યા છે. તો ત્યારે સાચુ, પરંતુ પાયલ, જેના પિતાજીનો ફ્લેટ એ સોસાયટીમાં છે તે રેકૉર્ડ કરે તો ખોટુ. સાથે જાવેદ અખ્તર સાહેબ, જે અત્યાર સુધી પોતાને રાજનીતિથી પરે વ્યક્તિ કહેતા હતા, તે શરદ પવારજીના ઘરે દેખાયા. શરદ પવારજીને ત્યાં જ્યારે બાકી નેતા ગયા ત્યારે જાવેદ અખ્તર ત્યાં લાડવા વહેંચવા તો નહોતા ગયા. આ દર્શાવે છે કે જાવેદ અખ્તર કહે છે કંઈક અને કરે છે કંઈક. હું આ બધુ એટલા માટે કહી રહી છુ કારણકે અમારી સોસાયટીની અંદર કમિટીવાળા ખુદ કર્મચારીઓના ફોટા પાડીને પોતાના ખુદના પ્રાઈવેટ વૉટ્સએપ ગ્રુપમાં મૂકે છે પરંતુ હું એ પબ્લિક મીટિંગનુ રેકૉર્ડિંગ નથી કરી શકતી. માનસિક બિમારી આને કહેવાય.'
નેહરુની પત્ની વિશે કરી હતી વાંધાજનક વાતો
પાયલ રોહતગીની છેલ્લા 2 વર્ષમાં બીજી વાર ધરપકડ થઈ છે. આ પહેલા તે એ વખતે વિવાદોમાં આવી જ્યારે 21 સપ્ટેમ્બર, 2019ના રોજ તેણે પોતાના ફેસબુક પર એક વીડિયો મૂક્યો અને તેમાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને તેના પરિવાર વિશે વાંધાજનક વાતો કરી. એટલુ જ નહિ પાયલ રોહતગીએ આ વીડિયોમાં જવાહરલાલ નહેરુની પત્ની વિશે પણ વિવાદિત નિવેદન આપ્યુ. આ વીડિયો વિશે રાજસ્થાનના બુંદીમાં તેના પર કેસ પણ થયો અને પોલિસે તેની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી. બાદમાં પાયલ રોહતગીને કોર્ટમાંથી જામીન મળી ગઈ પરંતુ તેણે એક રાત જેલમાં કાઢવી પડી.
શિવાજી મહારાજની જાતિ પર કર્યુ હતુ ટ્વિટ
આ પહેલા જૂન, 2019માં પાયલ રોહગતી એ વખતે મુશ્કેલીમાં ફસાઈ જ્યારે તેણે ટ્વિટર પર છત્રપતિ શિવાજી મહારાજની જાતિ વિશે ટિપ્પણી કરી. પાયલ રોહતગીએ પોતાના ટ્વિટમાં લખ્યુ, 'છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ શુદ્ર વર્ણમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો પરંતુ ઉપનયન સંસ્કાર અને પત્ની સાથે પુનર્વિવાહ કરીને તેમને ક્ષત્રિય બનાવવામાં આવ્યો જેથી તે રાજા બની શકે. તો એક વર્ષના લોકો બીજા વર્ણમાં જઈ શકતા હતા જો તેમની અંદર યોગ્યતા હોય. તો પછી જાતિવાદ કેવો?' જો કે સોશિયલ મીડિયા પર વિરોધ બાદ પાયલ રોહતગીએ પોતાના ટ્વિટ માટે માફી માંગી.
'મે પણ એવા વીડિયો બનાવ્યા છે ખોટા હોઈ શકે છે'
હાલમાં જ જ્યારે હરભજન સિંહની એક પોસ્ટ પર હોબાળો થયો તો પાયલ રોહતગીએ તેનુ સમર્થન કર્યુ. પાયલ રોહતગીએ લખ્યુ, 'હરભજન સિંહના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર થઈ, જ્યાં તે ખાલિસ્તાનનો વિચાર ધરાવતા ભિંડરાવાલાનુ પોસ્ટર શેર કરીને તેમને શહીદનો દરજ્જો આપી રહ્યા હતા. આ પોસ્ટર જોઈને હરભજન સિંહને ઘણા નેગેટીવ કમેન્ટ સહન કરવી પડી કારણકે ભિંડારાવાલા ભારતને તોડવા માંગતા હતા. હવે એક દિવસ બાદ હરભજન સિંહે ટ્વિટ શેર કર્યુ કે કેવી રીતે તેમની ભૂલથી એક વૉટ્સએપ ફૉરવર્ડ શેર થઈ ગયુ હતુ અને તેમના વિચારો ભિંડરાવાલાના વિચારો જેવા નથી અને તે દેશ હિતમાં વિચારે છે. તેમની માફી સ્વીકારવી જોઈએ કારણકે ભારતની અંદર બધાનો મોકો આપવો જોઈએ જો તે પોતાની ભૂલ સમજીને તેને સુધારવાનો પ્રયત્ન કરે. મને પણ ખબર છે કે મે પણ ઘણા બધા વૉટ્સએપ ફૉરવર્ડ પર વીડિયો બનાવ્યા જે ખોટા હોઈ શકે છે.'