મારે મરવું નથી, તમારી ફ્લાઇટમાં બોમ્બ છે, પેસેન્જરના કોલથી અમદાવાદ એરપોર્ટમાં અફરાતફરી
અમદાવાદ પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારના રોજ અમદાવાદ-દિલ્હી ફ્લાઈટમાં એક વ્યક્તિએ બોમ્બની ધમકીનો ખોટો કોલ કર્યો હતો. હાલ પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે.
હાલ ફ્લાઇટ અને એરપોર્ટ સંબંધિત સમાચારો આવતા રહે છે. જેમાં પેસેન્જર દ્વારા ચાલુ વિમાનમાં કંઇક ખોટુ કૃત્ય આચરવાના સમાચાર અવારનવાર આવતા રહે છે. આ વચ્ચે મંગળવારની સાંજે એક પેસેન્જરે અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી સ્ટાફને કોલ પર આપી હતી.
કોલ પર વાત કરનારી વ્યક્તિએ દાવો કર્યો હતો કે, અમદાવાદ-દિલ્હી જનારી ફ્લાઇટમાં બોમ્બ છે. જે બાદ પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ કોલ ફેક હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ફેક કોલ કરવાવાળા સામે કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
સમગ્ર ઘટનાની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે, ફ્લાઇટ સાંજે 5:20 વાગ્યે ઉપડવાની હતી. એક પેસેન્જર ફ્લાઇટમાં આવ્યો ન હતો. જેથી એરપોર્ટના અધિકારીઓએ તેને ફ્લાઇટના પ્રસ્થાન વિશે યાદ અપાવવા માટે ફોન કર્યો હતો. કોલ રિસીવ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું શા માટે આવું? મારે મરવું નથી. અધિકારીઓએને તેણે કહ્યું કે, તમારી ફ્લાઈટમાં બોમ્બ છે. બીજી તરફ જ્યારે વ્યક્તિને તેની ઓળખ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેણે તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો.
મુસાફરે પોતાનો ફોન નંબર હોવાનો કર્યો ઇન્કાર
એરપોર્ટ અધિકારીઓએ પોલીસને જાણ કરતાં, પેસેન્જર જે હજૂ સુધી ચડ્યો ન હતો, તે કાઉન્ટર પર ગયો. પેસેન્જરે અધિકારીઓને જણાવ્યું કે, તેની ટિકિટ તેની કંપનીના એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા બૂક કરવામાં આવી હતી અને ટિકિટ બૂક કરવા માટે વપરાયેલા ફોન નંબર અને ઈમેલ એડ્રેસ તેનું નથી. દરમિયાન દિલ્હી-અમદાવાદ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપનારા કોલર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.