કિશન ભરવાડ હત્યા કેસઃ બે આરોપીઓના રિમાન્ડ મંજૂર, મૌલવીએ આપ્યા હથિયાર, આજે બાવળા બંધનુ એલાન
ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યા મામલે પોલિસે 3 આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદઃ ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યા મામલે પોલિસે 3 આરોપીની ધરપકડ કરી છે. આ 3 માં શબ્બીર ઉર્ફે સાબા ચોપડા, ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ અને મુખ્ય સૂત્રધાર મૌલવીની પણ ધરપકડ કરી છે. આરોપીઓને પોલિસે કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે હથિયાર આપનાર મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ધંધુકામાં 25 જાન્યુઆરીના રોજ ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે અને ધંધૂકા પછી બોટાદ, રાણપુર અને હવે આજે બાવળા સંપૂર્ણ બંધનુ એલાન હિંદુ યુવાવાહિની, વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવ્યુ છે. આ બંધના એલાનને બાવળાના નાના-મોટા વેપારીઓને સહકાર આપવા જણાવાયુ છે. બંધના એલાનના પગલે બાવળામાં પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ધંધુકામાં સોશિયલ મીડિયામાં વિવાદિત ધાર્મિક પોસ્ટના કારણે વિવાદ સર્જાયો હતો. જેના પગલે આરોપીઓ કિશનને સબક શીખવવા માગંતા હતા. જેથી તેમણે કિશનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મોકો મળતા જ શબ્બીર અને ઈમ્તિયાઝ બાઈક પર ઘટના સ્થળે પહોંચ્યા. ઈમ્તિયાઝ બાઈક ચલાવતો હતો અને શબ્બીરે ફાયરિંગ કર્યુ હતુ. અમદાવાદ જમાલપુરના મૌલવી અને દિલ્લીના મૌલવી શાહઆલમમાં મળી ચૂક્યા છે. જેમાં શબ્બીર પણ હાજર હતો. હત્યાના 5-6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદમાં ગયો હતો અને મૌલવીને મળીને ફેસબુક પોસ્ટની વાત કરી હતી. કિશનની સબક શીખવવાની વાત કહી હથિયાર માંગ્યુ હતુ. મૌલવીએ હથિયાર આપ્યુ હતુ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે થયેલી કિશન ભરવાડની હત્યા સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી પરિવારજનોને ઝડપથી ન્યાની ખાતરી આપી હતી.