લગ્ન પ્રસંગમાં ગરબા ગાતી વખતે 'મને હાથ કેમ અડી ગયો' કહીને કરી દીધી હત્યા
શહેરના વટવા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં થયેલી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં થયેલી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન પ્રસંગમાં ખૂબ જ નજીવી બાબતે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે. વટવા પોલિસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક અજય 20 દિવસની દીકરીનો પિતા હતો.
બનાવની વિગત એવી છે કે પોલિસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી મહેશ બેચરજી ઠાકોરે ગળુ દબાવીને હત્યા કરી દીધી છે. વટવા વિસ્તારમાં આવેલા મોટા ઠાકોરવાસમાં રહેતા અજય ઠાકોર તેના ભાઈ તેમજ સગા સંબંધીઓ સાથે પડોશમાં રહેતા ભરત ઠાકોરની દીકરીના લગ્ન પ્રસંગ પહેલા રાખેલા ગરબામાં ગયા હતા. જ્યાં ઠાકોર વાસમાં રહતો મહેશ ઠાકોર પણ ગરબા ગાવા આવ્યો હતો. ગરબા દરમિયાન અજયનો હાથ મહેશને અડી ગયો હતો. જેના માટે મહેશે અજયને ગાળો આપીને ગરબા પૂરા થયા પછી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રાતે 1.30 વાગ્યા આસપાસ ગરબા પૂરા થયા પછી અજય તેના ઘરે જઈ રહ્યો હતો એ વખતે જોગણી માતાના મંદિર પાસે મહેશે ગરબાની વાતને લઈને અજય સાથે ઝઘડો કર્યો. બંને એકબીજા સાથે મારામારી પણ કરી. એ દરમિયાન મહેશે અજયનુ ગળુ દબાવી રાખ્યુ હતુ. અજયના ભાઈએ વચ્ચે પડીને અજયને એલજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અજયનુ મોત થતા તેના ભાઈએ વટવા પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલિસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.