અમદાવાદમાં 144મી રથયાત્રાના રૂટ પર પોલિસ પેટ્રોલિંગ કરી સુરક્ષાની કરવામાં આવી સમીક્ષા
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે રથયાત્રાના રૂટ પર પોલિસ પેટ્રોલિંગ યોજાયુ હતુ.
આ વર્ષે રથયાત્રા યોજાશે કે નહિ તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી પરંતુ અમદાવાદ શહેર પોલિસ આ સંદર્ભે સજ્જ થયેલી જોવા મળી રહી છે. જેને લઈને ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે રથયાત્રાના રૂટ પર પોલિસ પેટ્રોલિંગ યોજાયુ હતુ. અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાનુ હજુ અસ્પષ્ટ છે ત્યારે અમદાવાદ શહેર ઝોન 3ના ડીસીપી મકરંદ ચૌહાણ દ્વારા રથયાત્રાના રૂટ પર પોલિસ પેટ્રોલિંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને રથયાત્રાના રૂટ પર સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી.
Recommended Video
પોલિસ પેટ્રોલિંગમાં એસીપી, ડીસીપી, પીઆઈ, પીએસઆઈ તેમજ પોલિસ કર્મીઓ જોડાયા હતા અને રૂટનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે પોલિસ પણ શાંતિ જળવાય અને સુરક્ષા જળવાય તે માટે સજ્જ બની છે અને વ્યવસ્થા સંચાલનમાં લાગી ગઈ છે. જો કે રથયાત્રા નીકળશે કે કેમ તે પ્રશ્ન હજુ યથાવત છે તેમછતાં અમદાવાદ શહેર પોલિસ પોતાની જવાબદારી નિભાવી કોઈ પણ બાબતમાં કચાશ ન રાખવા સજ્જ બની રહી છે.
તમને જણાવી દઈએ કે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખલાસીઓ પણ તૈયારીમાં લાગી ગયા છે. જો રથયાત્રાને મંજૂરી મળે તો એક રથ સાથે 40 એમ ત્રણે રથના મળીને કુલ 120 ખલાસી રહેવાના છે. કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રથયાત્રા અગાઉ ખલાસીઓ માટે રસી લેવી પણ ફરજિયાત કરી દેવામાં આવી છે. જો કે રથયાત્રા અંગે હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ તૈયારીઓ ચાલી રહી છે. કોવિડ-19 ગાઈડલાઈન સાથે રથયાત્રા નીકળશે તેવી માહિતી મળી રહી છે. તૈયારીના ભાગ રૂપે રથનો શણગાર કરવામાં આવી રહ્યો છે, રથના પૈડા પણ બદલી દેવામાં આવ્યા છે.