અમદાવાદની રથયાત્રામાં વરસાદના અમી છાંટણા, ઉમટ્યુ ભક્તોનુ ઘોડાપુર
શહેરમાં ભગવાન જગન્નાથજીની 145 રથયાત્રાનો આનંદ અને ઉલ્લાસપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે.
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની 145 રથયાત્રાનો આનંદ અને ઉલ્લાસપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન પરંપરાગત માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે સરસપુરમાં રથયાત્રા પહોંચતા પહેલા વરસાદના અમી છાંટણા થયા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે રૂટ પર આગળ વધી રહી છે. સરસપુર, જમાલપુર, ખાડિયા, કાલુપુર, ઢાળની પોળ અને કોર્પોરેશન વિસ્તારમાં હળવા વરસાદની શરૂઆત થઈ છે.
ઉમટ્યુ ભક્તોનુ ઘોડાપુર
કોરોના મહામારીના કારણે બે વર્ષ પછી નીકળેલી રથયાત્રામાં ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ છે. સહુ ભક્તજનો જય રણછોડ, માખણચોરના નાદ સાથે રથયાત્રાને વધાવી રહ્યા છે. રથયાત્રાના રુટ પર આવેલા ઘરોના ધાબા પર ચડીને સહુ કોઈ ભગવાન જગન્નાથના દર્શન કરી રહ્યા છે.
માનવ મહેરામણ ઉમટ્યુ
હાલમાં રથયાત્રા કોર્પોરેશન પહોંચી ચૂકી છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાનો માહોલ જામ્યો છે. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે. માનવ મહેરામણ ઉમટ્યુ છે. મોસાળમાં ભોજનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રાના દિવસે બપોરી વિશ્રામ દરમિયાન અહીં લાખો ભક્તો ભોજન ગ્રહણ કરશે. તેના માટે કુલ 13 પોળમાં ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભગવાનના આગમનને વધાવવા માટે બે દિવસથી રસોડા ધમધમી રહ્યા છે. બે લાખથી વધુ ભક્તો પૂરી-શાક, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ખીચડીનુ ભોજન લે તેવો અંદાજ છે.
|
પ્રસ્થાન પૂર્વે મંદિર પરિસરના અદભૂત દ્રશ્યો
તમને જણાવી દઈએ કે સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ.
|
સંસ્કૃતિની ઝાંખી
પોલિસ કમિશ્નરે મંજૂરી આપી દેતા રથયાત્રા તેના પરંપરાગત રુટ પર ફરી રહી છે. જેમાં આગળ 18 શણગારેલા ગજરાજો, ત્યારપછી ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી 101 ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજાવાળા છે.
|
મંગળા આરતી
સવારે ચાર વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. સવારે 4.30 વાગે ભગવાનને ભોગ ધરાવાયો હતો. જગન્નાથને પ્રિય આદિવાસી નૃત્ય અને રાસગરબા પણ થયા હતા. ત્યારબાદ ભગવાનના આંખે બાંધવામાં આવેલ પાટા ખોલવાની વિધિ કરાઈ હતી.
|
લોકોને માસ્ક પહેરવા અપીલ
રથયાત્રામાં આવતા ભાવિક ભક્તોને પ્રસાદમાં મગ, ખીચડો અને જાંબુ આપવાની પરંપરા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકો માસ્ક જરૂરથી પહેરે. આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટે લોકોને અપીલ કરી હતી કે, જ્યારે પણ લોકો ભગવાનના દર્શન કરવા માટે આવે ત્યારે માસ્ક પહેરે.