ત્રણ મહિનામાં રિયલ એસ્ટેટના 501 પ્રોજેક્ટમાં 13,500 કરોડથી વધુનું રોકાણ, અમદાવાદ મોખરે
કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ ગુજરાતમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી તેજી આવી રહી છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બિલ્ડર્સ અને ડેવલોપર્સે નાણાંકીય વર્ષ 2021-22ના છેલ્લ
અમદાવાદ - કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ ગુજરાતમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી તેજી આવી રહી છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બિલ્ડર્સ અને ડેવલોપર્સે નાણાંકીય વર્ષ 2021-22ના છેલ્લા ત્રણ મહિનામાં 1,3508 કરોડ રૂપિયાના રહેણાંક અને વ્યવસાયિક પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.
કોરોના સંક્રમણને કારણે લોકોની માનસિકતામાં પરિવર્તન આવ્યું
એપ્રિલથી જૂન દરમિયાન શરૂ થયેલા કુલ પ્રોજેક્ટમાંથી 6,285 કરોડના પ્રોજેક્ટ ફક્ત અમદાવાદ શહેરમાં જ શરૂ કરવામાં આવ્યા છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોના મતાનુસાર કોરોના સંક્રમણને કારણે લોકોની માનસિકતામાં પરિવર્તન આવ્યું છે. હવે લોકો નાના મકાનોને બદલે મોટા મકાનો ખરીદી રહ્યા છે. જેના કારણે ડેવલોપર્સ પણ જોખમ લઇ રહ્યા છે.
ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે સારુ રોકાણ
અમદાવાદના અરાઇઝ ગ્રુપના વર્ષિશ પટેલે રિયલ એસ્ટેટમાં રોકાણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ બાદ મોટા મકાનોની માંગ વધી છે. 1-BHKમાં રહેતા લોકો 2-BHK તરફ વળી કરી રહ્યાં છે. જેનું કારણ એ છે કે કોરોના સમયગાળા દરમિયાન જેમની પાસે નાના મકાનો હતા તેમને જ સૌથી વધુ મુશ્કેલી સહન કરવી પડી હતી. આ સિવાય ઉચ્ચ મધ્યમ વર્ગ ફ્લેટથી બંગલો કે ફાર્મ હાઉસ ખરીદવા તરફ વળી રહ્યો છે. આ પરિવર્તનને કારણે બિલ્ડર્સ નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાનું જોખમ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઘરોની માંગ વધુ છે. આ રિયલ એસ્ટેટમાં સારૂ એવું રોકાણ થઇ રહ્યું છે.
માત્ર અમદાવાદમાં 47 ટકા રોકાણ
ગુજરાત રેરાની વેબસાઇટ અનુસાર નાણાંકીય વર્ષ 2021-22માં એપ્રિલથી 13,508 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. જેમાંથી 6,285 કરોડ રૂપિયાના રોકાણ સાથે અમદાવાદ પ્રથમ સ્થાને છે. જે બાદ વડોદરા 2,500 કરોડ, સુરત 1,711 કરોડ અને 1.135 કરોડના રોકાણ સાથે ગાંધીનગર ચોથા સ્થાને છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રૂપિયા 4,444 કરોડના રહેણાંક પ્રોજેક્ટ અને રૂપિયા 6,919 કરોડના મિક્સ (રહેણાંક અને વ્યવસાયિક) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે 1962 કરોડનું રોકાણ કમર્શિયલમાં કરવામાં આવ્યું છે.
ગાંધીનગર તરફ સ્થળાંતર કરે છે ઓલ્ડ અમદાવાદના લોકો
ગાંધીનગરના નક્ષત્ર ગ્રૂપના ઉત્પલ પટેલ જણાવે છે કે, અમદાવાદના શાહીબાગ, મણિનગર જેવા ઓલ્ડ સિટીના વિસ્તારોમાં રહેતા લોકો પોતાના મકાનો વેચીને ગાંધીનગર સ્થળાંતર કરી રહ્યા છે. જે કારણે ગાંધીનગરમાં ઘણા નવા પ્રોજેક્ટ શરૂ થયા છે. ઇન્ફોસિટી અને ગિફ્ટસિટીના આઇટીમાં કામ કરતા લોકો ગાંધીનગરમાં સરગાસણ, રાયસન વિસ્તારની આસપાસ મકાનો ખરીદી રહ્યા છે. PDPU, GNLU અને IIT હોવાને કારણે હવે ગાંધીનગર ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત અમદાવાદની તુલનામાં ગાંધીનગરમાં પણ સારી સુવિધાઓ છે. તાજેતરમાં ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગ અંતર્ગત ઘણા નવા પ્રોજેક્ટ્સ ઝડપથી શરૂ કરવામાં આવી રહ્યા છે.