સુરેન્દ્રનગર જિલ્લાના 13 ગામોમાં 100 ટકા રસીકરણ, જિલ્લા આરોગ્ય વિભાગની જાહેરાત
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ તમામ ગામોમાં કોવીડ રસીકરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં જાન્યુઆરી મહિનાથી કોવીડ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ તમામ ગામોમાં કોવીડ રસીકરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા ૧૩ ગામોમાં રસીકરણની 100 ટકા કામગારી પુરી થઈ ગઈ છે. આ ગામડાઓમાં વઢવાણ તાલુકાના અધેલી, દેદાદરા, લટુડા, લખતર તાલુકાના કડુ, તલવણી પાટડી તાલુકાના વીસાવડી, ઝેઝરા, ધ્રાંગધ્રા તાલુકાના હામપર, માનસર, ચુડા તાલુકાના સેજકપર, જેપર, થાનગઢ તાલુકાના વેલાળા, સાયલા તાલુકાના પીપળીયા ગામમાં 100 ટકા રસીકરણની જાહેરાત કરાઈ છે. બીજી તરફ જિલ્લાના વધુ ૨૦ ગામોમાં 1-2 દિવસમાં ૧૦૦ % રસીકરણની કામગીરી પુર્ણ થશે.
સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ અનુસાર, રસીકરણ પુર્ણ થયુ છે એવા કોઈ પણ ગામમાં રસીકરણથી કોઇપણ માણસને કોઇ જ જાતની આડઅસરના સમાચાર નથી. લોકો તરફથી પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, હાલમાં દરેક તાલુકામાં સીએચસી અને પીએચસી ખાતે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી (બુધવાર અને રવિવાર સિવાય) અને લોકોના સમય ની અનુકુળતા મુજબ રસીકરણ કામગીરી ચાલુ રહેશે. જિલ્લાના તમામ નાગરિકોને વહેલી તકે ૧૦૦% રસી આપવાની કામગીરી કરાશે.