અકસ્માતમાં એક જ પરિવારના 23ના મોત, રાજ્યસરકારે જાહેર કરી મદદ
મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાનાના ઝીલોસણ ગામનો મુસ્લિમ પરિવાર રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ પરત ફરી રહ્યો હતો ત્યારે ઝીલવણા ગામ પાસે હિંમતનગર-રાધનપુર એસટી બસ અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતના પગલે ભારે રોકકળ અને કરૂણ ચિચિયારીઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સમી-હારિજ-ઝીલવાણા તેમજ આસપાસના ગામોમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢીને સારવાર અર્થે હારિજ રેફરલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર પુરી પાડીને ધારપુર મેડિકલ કોલેજ તેમજ અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
આ અકસ્માતમાં પ્રાથમિક અંદાજ મુજબ ૧૮ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે જેમાં આઠ મહિલા, પાંચ બાળકો અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે જ્યારે ઈજાગ્રસ્તોમાં ૨૦ જેટલા ઈજાગ્રસ્તોને પાટણ- ધારપુર ખસેડાયા છે. અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયા છે. આ ઘટનાની જાણ થતાં હારીજ- સમી પોલીસ તંત્ર, ૧૦૮ તેમજ આજુબાજુના ગામડામાંથી લોકો મદદે દોડી આવ્યા હતા.