22,843 કરોડના ફ્રોડમાં તપાસનો ધમધમાટ શરૂ, CBIએ સુરત, મુંબઈ સહિત 13 સ્થળે
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા શનિવારના રોજ ABG શિપયાર્ડ્સ અને તેના ડિરેક્ટર્સ સામે દાખલ કરેલા 22,842 કરોડના લોન કૌભાંડ કેસમાં 13થી વધુ સ્થળોએ રેડ કરી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા શનિવારના રોજ ABG શિપયાર્ડ્સ અને તેના ડિરેક્ટર્સ સામે દાખલ કરેલા 22,842 કરોડના લોન કૌભાંડ કેસમાં 13થી વધુ સ્થળોએ રેડ કરી હતી. કંપની અને તેના ડાયરેક્ટર્સની ઓફિસ અને જગ્યાઓ પર રેડ કરવામાં આવ્યા હતા. CBIનો દાવો છે કે, તેમણે ગુનાહિત દસ્તાવેજો રિકવર કર્યા છે.
CBIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓએ સુરત, ભરૂચ, મુંબઈ, પૂણેમાં 13 થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાંથી ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. નોંધનીય છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે CBIએ ABG શિપયાર્ડ્સના ડિરેક્ટર રિશી અગ્રવાલ અને સંથાનમ મુથુસ્વામીના નામ પર FIR દાખલ કરી હતી.
આરોપીઓએ આ અગાઉની સ્ટેટ બેંક ઓફ પટિયાલા, કોમર્શિયલ ફાયનાન્સ બ્રાન્ચ (નવી દિલ્હી) સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, કોમર્શિયલ બ્રાન્ચ, નવી દિલ્હી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઓવરસીઝ બ્રાન્ચ, મુંબઈ સહિત 28 બેંકના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરી છે. આરોપીઓએ ભેગા મળીને બેંક દ્વારા જે હેતુને કારણે ફંડ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સિવાયના હેતુ માટે રિલીઝ ફંડને ડાયવર્ટ કરીને અનય પ્રવૃતિઓ કરી હતી.
કરોડો ડોલરની ખોટને કારણે કંપનીની સ્થિતિ બગડી
સુરતના મગદલ્લામાં 1985માં શરૂ થયેલી ABG શિપયાર્ડ જહાજ બનાવવાનું અને મેઇન્ટેનન્સનું કામ કરતી હતી. વર્ષ 1991 સુધીમાં સારો નફો કર્યો છે. દેશ વિદેશમાંથી ઓર્ડર મળવા લાગ્યા હતા. તેમ છતાં 2016માં કંપનીને 55.7 કરોડ ડોલરની ખોટ ગઇ હતી. વેપાર ઘટતાં ટર્નઓવર ઘટ્યું છે. કંપનીનો ખર્ચ વધુ હોવાથી અને બિઝનેસ ઘટવાથી ખોટ વધતી ગઇ હતી. વૈશ્વિક મંદીમાંથી પણ બેઠી ન થઇ શકી હતી, પણ અમુક હિસ્સો રશિયન કંપનીને વેચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
રકમ સંબંધિત પક્ષોને ટ્રાન્સફર કર્યા બાદ એડજસ્ટમેન્ટ એન્ટ્રીઓ કરાઈ
CBIના અધિકારીએ જણાવ્યું હતું કે, AGB શિપયાર્ડ્સ દ્વારા કથિત રીતે મોટી રકમ તેના સંબંધિત પક્ષોને ટ્રાન્સફર કરાઇ હતી. જે બાદ એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરવામાં આવી હતી. બેંક લોન ડાયવર્ટ કરવામાં આવી હતી. વિદેશી સબસિડિયરીમાં જંગી રોકાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ભંડોળ તેના સંબંધિત પક્ષોના નામે વિશાળ સંપત્તિ ખરીદવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
ફોરેન્સિક ઓડિટમાં સામે આવી સમગ્ર ઘટના
ફોરેન્સિક ઓડિટમાં માલુમ પડ્યું છે કે, વર્ષ 2012-17 વચ્ચે આરોપીઓ દ્વારા કથિત રીતે મિલિભગત કરીને સંપત્તિનો દુરુપયોગ કર્યો હતો. લોન કોઈ બીજા હેતુથી લેવાઈ હતી. આ પૈસાનો ઉપયોગ બીજા કામમાં કર્યો હતો. બાદમાં બેંકે વર્ષ 2016માં આ કંપનીના ખાતા NPA અને 2019માં ફ્રોડ એકાઉન્ટ જાહેર કરાયા હતા.
છેતરપિંડીનો ભોગ બનેલી બેક
ABGની બંને કંપનીઓ દ્વારા 28 બેંકે સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં 6 બેંકે સૌથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. આ 6 બેંકમાં ICICIના 7,089 કરોડ, IDBIના 3,634 કરોડ, SBIના 2,925 કરોડ, બેન્ક ઓફ બરોડાના 1,614 કરોડ, પંજાબ નેશનલ બેંકના 1,244 કરોડ અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના 1,228, કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
દોઢ વર્ષ સુધી ચાલી તપાસ, બાદમાં થઇ FIR
બેંકે સૌથી પહેલા 8 નવેમ્બર, 2019ના રોજ ફરિયાદ દાખલ કરાઇ હતી. જેના પર CBIએ 12 માર્ચ, 2020ના રોજ અમુક સ્પષ્ટીકરણ માગ્યા હતા. બેંકે તે વર્ષે ઓગસ્ટમાં એક નવી ફરિયાદ નોંધાવી હતી. દોઢ વર્ષથી વધારે સમય સુધી તપાસ કર્યા બાદ CBIએ 7 ફેબ્રુોઆરી, 2022ના રોજ FIR નોંધવી ફરિયાદ પર કાર્યવાહી કરી છે.