યુક્રેનથી ગુજરાતના 220 વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા, જીતુ વાઘાણીએ ગુલાબ આપી આવકાર્યા
ઑપરેશન ગંગા હેઠળ ગુજરાતના 220 વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવ્યા છે. જીતુ વાઘાણીએ ગુલાબ આપી આવકાર્યા.
ગાંધીનગરઃ યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે ચાલી રહેલ ઑપરેશન ગંગા હેઠળ ગુજરાતના 220 વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવ્યા છે. દિલ્લી એરપોર્ટ પર ઉતર્યા બાદ આ તમામ વિદ્યાર્થીઓને ઉત્તર પ્રદેશ પરિવહનની બસો મારફતે ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ તમામ વિદ્યાર્થીઓનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘાણી પણ સર્કીટ હાઉસ ખાતે આ તમામ વિદ્યાર્થીઓનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘાણી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને ગુલાબ આપી તેમનુ સ્વાગત કર્યુ હતુ. વિદ્યાર્થીઓના માતાપિતા માહિતી મળતા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગયા હતા. પોતાના બાળકો હેમખેમ ઘરે પહોંચવાની ખુશી માતાપિતાના ચહેરા પર દેખાઈ રહી હતી. વિદ્યાર્થીઓ ગાંધીનગર આવ્યા બાદ જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
ગાંધીનગર પહોંચેલા વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે તેઓ બૉર્ડર પર ચાર-પાંચ દિવસ સુધી ફસાયેલા રહ્યા. જો કે ભારત સરકાર દ્વારા તેમની ખૂબ જ મદદ કરવામાં આવી હતી અને એમ્બેસી દ્વારા તેમના માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બૉર્ડર પર ચાર-પાંચ દિવસ ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યા પરંતુ ભારતીય એમ્બેસી દ્વારા એમને ખાતરી આપવામાં આવી હતી જેથી તેમને રાહત હતી. માઈનસ 11 ડિગ્રી તાપમાનમાં ખુલ્લી જગ્યામાં રહેવા માટે છાત્રો મજબૂર હતા.
તમને જણાવી દઈએ કે દિલ્લી એરપોર્ટ પર 220 વિદ્યાર્થીનુ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુલાબનુ ફૂલ આપી સ્વાગત કર્યુ હતુ અને વિશ્વાસ અપાવ્યો હતો કે આવનારા દિવસોમાં યુક્રેનમાં ફસાયેલા તેમના સાથીઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે. એક વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ કે ભારત આવીને અમને ખૂબ ખુશી મળી રહી છે. હજુ પણ અમારા અનેક સાથીઓ ત્યાં ફસાયેલા છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને જલ્દી ત્યાંથી કાઢવામાં આવે.