બનાસકાંઠામાં શાળા પ્રવેશોત્સવમાં 55,000 બાળકોએ મેળવ્યો પ્રવેશઃ જિલ્લા શિક્ષણાધિકારી
બનાસકાંઠામાં શાળા પ્રવેશોત્સવમાં 55,000 બાળકોએ મેળવ્યો પ્રવેશઃ જિલ્લા શિક્ષણાધિકારી
બનાસકાંઠામાં શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કાંકરેજ તાલુકાની વજેગઢ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી અને ધોરણ-૧ ના 40 બાળકોને પોતાના વરદ હસ્તે કુમ કુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ સર્વાંગી વિકાસ માટે શિક્ષણની જરૂરીયાત અને મહત્વ પર ભાર મુકયો હતો. મંત્રીએ કન્યા કેળવણી ઉપર ભાર મુકતા ગ્રામજનો અને શિક્ષકોને જણાવ્યું હતું કે ગામમાં એકપણ દિકરા-દિકરી શિક્ષણથી વંચિત ના રહી જાય તે આપણા સૌની જવાબદારી છે એટલે ૧૦૦ ટકા નામાંકન કરાવવું જોઈએ, જેથી દિકરીઓ સારું શિક્ષણ મેળવે અને ઉચ્ચ હોદ્દાઓ ઉપર બેસીને પરિવાર અને દેશનું નામ રોશન કરી શકે. મંત્રીએ શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર અને શાળાના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે જિલ્લાની શૈક્ષણિક સ્થિતિનો પરિચય આપતાં શાળા પ્રવેશોત્સવ મહોત્સવ અંતર્ગત 55,000 બાળકોને પ્રવેશ અપાયો હોવાનું જણાવ્યુ હતું. જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાની સાથે 3,000 બાળકોએ ખાનગી શાળાઓનો અભ્યાસ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે તેમજ જિલ્લામાં નવા 1170 શાળાના ઓરડાની મંજૂરી મળી હોવાનું ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી જિલ્લામાં શૈક્ષણિક સુવિધાઓના વિકાસ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા એક કરોડ જેટલું માતબર દાન આપવામાં આવ્યું છે જેના થકી જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવશે.
આ પ્રસંગે શાળામાં વય નિવૃત થયેલા શિક્ષકા હંસાબેન પટેલની પ્રેરણા અને ક્રાફ્ટ સિલિકોન ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી શરૂ કરવામાં આવેલ "શિક્ષણ સંજીવની" કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ થકી બાળકોની શૈક્ષણિક જરૂરિયાત અને અભ્યાસ કીટનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. નર્સિંગ ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર કાજલબેનનું મંત્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.