એકતાનગર ખાતે નવી શિક્ષણ નીતિ અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોનના વાઇસ ચાન્સેલર્સની કોન્ફરન્સ યોજાશે
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે ૨૬ ઑક્ટોબરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ અંગેની કોન્ફરન્સ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સવારે ૯-૩૦ કલાકે ઉદ્ઘાટન કરાશે.
૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના ભાગરૂપે એક પ્રિ-સમિટ તરીકે આ એક દિવસીય કોન્ફરન્સનું શાનદાર આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે.

આ કોન્ફરન્સનું આયોજન VGGS-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે સર્વસમાવેશક વિકાસની સાથે શિક્ષણને પ્રોત્સાહન-બળ આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફરન્સના પ્રારંભના આગલા દિવસે ૨૫ ઓક્ટોબરે ૬.૩૦થી ૭.૩૦ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધ સાંસ્કૃતિક ગરબા-પ્રાચીન અર્વાચીન, ટીમલી અને ટ્રેડીશનલ રાસ પ્રસ્તુત કરાશે.
ગુજરાત સરકાર દ્વારા VGGS-૨૦૨૪ પહેલાં દેશના ટકાઉ વિકાસ માટે જરૂરી મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવા પૂર્વ-સમિટ-પ્રદર્શન સેમિનાર અને કાર્યક્રમોની શૃંખલા યોજવાનું આયોજન કર્યું છે.
જેના ભાગરૂપે એકતાનગર ખાતે આ પ્રિ-ઈવેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, ગોવા અને દાદરા અને નગર હવેલીના ૪૦૦થી વધુ મહાનુભાવો (વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સ) કોન્ફરન્સમાં ભાગ લઈ તેના સરળ અમલીકર અંગે વિવિધ સત્રોમાં સહભાગી બની ગહન ચિંતન-ચર્ચા-વિચારણા કરશે અને એક રોડમેપ તૈયાર કરવામાં આવશે.
આ એકદિવસિય કોન્ફરન્સમાં ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ માટેના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે.
આ સાથે જ ભારત સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ના અધ્યક્ષ પ્રો.એમ.જગદીશ કુમાર અને AICTEના અધ્યક્ષ પ્રો. ટી. જી. સીથારામ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સરકારી અને પ્રાઈવેટ યુનિવર્સિટીના વી.સી. અને રજીસ્ટ્રાર પણ આમાં ભાગ લઈ રહ્યા છે.
એકતાનગરના આંગણે આયોજિત આ કોન્ફરન્સના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા સહાય પુરી પાડતા ૨૦ જુદા જુદા સ્ટાર્ટઅપ્સ એક્ઝિબિશન સ્ટોલ પ્રદર્શન પણ રાખવામાં આવેલ છે. દરેક સ્ટાર્ટઅપ એક્ઝિબિશન સ્ટોલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના સાથે સંકળાયેલા જુદા જુદા વિષયો ઇન્ડીયન નોલેજ સીસ્ટમ, ડીજીટલ એજ્યુકેશન, કૃષિ, આરોગ્ય, ટેકનોલોજી, પર્યાવરણ, કારકિર્દી વગેરે મુજબ ગોઠવવામાં આવ્યા છે.
આ સમગ્ર સ્ટોલ-પ્રદર્શનની ગોઠવણ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેમાં એમ.એસ.યુનિ.અને રાજ્યની અન્ય યુનિવર્સિટી પણ સહભાગી થઈને કાર્ય કરી રહી છે.












Click it and Unblock the Notifications
