નર્મદા જિલ્લામાં રેલવેના પડતર પ્રશ્નો મુદ્દે અધિકારીઓ અને અરજદારોની બેઠક મળી
નર્મદા જિલ્લાના રેલવે વિભાગ સાથેના જમીન સંપાદન સંદર્ભે તેના વળતરની ચૂકવણી સહિતના અન્ય પ્રશ્નોના નિકાલ બાબતે સંબંધિત અરજદારોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
નર્મદા જિલ્લાના રેલવે વિભાગ સાથેના જમીન સંપાદન સંદર્ભે તેના વળતરની ચૂકવણી સહિતના અન્ય પ્રશ્નોના નિકાલ બાબતે સંબંધિત અરજદારોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. જેમાં જુલાઈ સુધીમાં વળતરની ચૂકવણી કરવા બાંહેધરી રેલવે વિભાગ તરફથી આપવામાં આવી હતી. નર્મદા જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે આ બેઠકમાં રેલવે વિભાગ સંબંધિત વિવિધ પ્રશ્નો પર ચર્ચા અને રજુઆતો કરવામાં આવી હતી.
રાજપીપલા ખાતે યોજાયેલી ઉક્ત બેઠકમાં અરજદારશ્રીઓના રસ્તા સમતળ કરવા, માર્ગમાં આવતા વૃક્ષો, ઇલેક્ટ્રીક થાંભલા, ખેડૂતના બોર તથા અન્ય નડતરો દૂર કરી જે તે રસ્તા ઉપયોગ લાયક બનાવવા, ખેડ઼ૂતો પોતાના ખેતર સૂધી પહોંચે તે માટે ગરનાળા બનાવવાની કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને યોગ્ય સમયમાં કાર્યવાહી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાણી ભરાઈ રહેવાની સમસ્યાને અનુલક્ષીને આગામી ઓક્ટોબરમાં બેલેન્સિંગ કલ્વર્ટ લગાવીને તેનું નિરાકરણ કરાશે. અંડર પાસમાં પાણી ભરાવાની સમસ્ચા તથા મેજરમેન્ટ ગેજ લગાવવાની રજૂઆત સંદર્ભે આગામી ૧૫ દિવસમાં મેજરમેન્ટ ગેજ લગાવવામાં આવશે. અને પાણી ભરાવવાની સમસ્યા સંદર્ભે આનુસંગિક કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવશે, તેમ પણ આ બેઠકમાં નક્કી થયું હતું. રેલ્વે વિભાગને લગતા પડતર પ્રશ્નો બાબતે તાકીદે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.